બોડેલી તાલુકાનાં ભોરદા ગામેથી વાઘોડિયા તાલુકાનાં રાજપુરા ગામે પત્નીને પિયર લઈ જવાનું કહીને બાઈક પર દોઢ વર્ષનાં પુત્રને લઈને પતિ બોડેલી નજીક ઝાંખરપુરા કેનાલ બ્રિજ પર ઉભો રહ્યો અને પત્ની અને પુત્રને પાણીનાં ધસમસતા વહેણમાં ધક્કો મારી દીધો હતો, જે પૈકી પત્નીની લાશ વાઘોડિયા તાલુકાનાં સરણેજ ગામેથી મળી હતી, જયારે બાળકની હજી શોધખોળ ચાલી રહી છે. બોડેલી પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદને આધારે પતિની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. બોડેલી તાલુકાનાં ગુલાબ દામનસિંહ પરમાર નાં લગ્ન વાઘોડિયા તાલુકા નાં રાજપુરા ગામની જયા નામની યુવતી સાથે થયા હતા.તેઓને બે સંતાનો માં સિદ્ધાર્થ ઉ.વ.13 અને દક્ષરાજ દોઢ વર્ષના બે પુત્રો પણ હતા.
જે જગ્યાએથી ધક્કો માર્યો હતો ત્યાં ગાડી ઉભી રખાવીને કબૂલાત કરી
તા.16મીએ સવારે ગુલાબ બાઈક લઈને ભોરદાથી રાજપુરા જવાનું કહીને નીકળ્યો હતો.પત્ની જયા અને દોઢ વર્ષ નાં પુત્ર દક્ષ રાજ ને લઈને નીકળ્યો હતો.બોડેલી નજીક અલ્હાદપુરાનાં બ્રિજ પર થઈને ઝાંખરપુરા પાસે બાઈક ઉભું રાખીને પત્ની જયા અને પુત્ર દક્ષરાજને ધક્કો મારીને પાણી નાં ધસમસતા ઊંડા વહેણમાં ફેંકી દીધા હતા અને ક્રૂર પતિ ગુલાબ ઘરે જતો રહ્યો હતો. સાંજે ગુલાબનાં પિતાએ જયા નાં પિતા દોલતસિંહને ફોન કરીને કહ્યું કે ગુલાબ ,જયા બાઈક પર દક્ષરાજને લઈને નીકળ્યા છે.ત્યાં આવ્યા છે, તો જયાના પિતાએ ના પાડી હતી અને તેઓને ચિંતાના વાદળો ઘેરી વળ્યાં હતા, જેથી બીજા દિવસે તા.17 નાં રોજ રાજપુરાથી ભાડે ગાડી કરીને જયા નાં પિતા , કાકા અને ભાઈ સૌ ભોરદા આવ્યા અને જયા અને પુત્ર વિશે પૂછ્યું, તો ગુલાબ સ્પષ્ટ જવાબ આપતો ન હતો.ત્યારે પોલીસ પાસે લઈ જવાનું કહીને ગાડીમાં બેસાડ્યો ત્યારે જે જગ્યાએથી ધક્કો માર્યો હતો ત્યાં ગાડી ઉભી રખાવીને ગુલાબે કબૂલાત કરીને કહ્યું, કે બોલાચાલી થતા પત્ની જયા અને દોઢ વર્ષનાં પુત્રને કેનાલમાં ધક્કો મારીને પાડી દીધા હતા.જેથી કેનાલમાં શોધખોળ શરૂ કરી અને છેક વાઘોડિયા તાલુકાનાં સરણેજ ગામે કેનાલમાંથી જયાની લાશ મળી આવી હતી. જરોદ પોલીસે ત્યાં આવીને લાસનો કબજો મળવીને પીએમ રૂમ માં મૂકી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. પિતા દોલતસિંહની ફરિયાદને આધારે બોડેલી પોલીસે આરોપી પતિ અને પિતા ગુલાબની પત્ની અને પુત્રનાં મોત બદલ અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પતિ-પત્નીનો ઝઘડો કારણભૂત
ગુલાબ નામનો યુવક કાંટાથી ભરેલો નીકળ્યો, કેમકે ભોરદાનાં ગુલાબે પત્ની જયા અને દોઢ વર્ષનાં પુત્ર દક્ષરાજને કેનાલમાં ધક્કો મારી ફેંકી દીધા તેની પાછળ પતિ પત્નીનો ઝઘડો હોવાનું બોડેલી પોલીસનાં પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે, તપાસમાં વધુ માહિતી મળશે.