એનસીપી પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભાને સંબોધતા કહ્યુ હતુ કે, ગુરુવારે નાસિકના બજારમાં ડુંગળીનો જથ્થો ઠાલવવા માટે સરકારે મંજૂરી આપી નહોતી. કારણકે સરકારને બીક હતી કે, નાસિકમાં ગુરુવારે સભા સંબોધવા આવેલા પીએમ મોદીના કાફલા પર લોકો ડુંગળીઓ ફેંકશે.
પવારે કહ્યુ હતુ કે, દેશમાં મંદીનો માહોલ છે અને જો આ જ રીતે મંદી રહી તો ઈકોનોમી મુશ્કેલીમાં આવી શકે છે. પીએમ મોદી દેશમાં આવી રહેલી નવી કંપનીઓની વાત કરે છે પણ એ વાત નથી કહેતા કે પહેલેથી ચાલતી કેટલી કંપનીઓ બધ થઈ. મુંબઈ એક સમયે દુનિયાનુ સૌથી મોટુ ટેક્ટાઈલ હબ હતુ. આજે મિલોની જગ્યાએ મોટી ઈમારતો દેખાય છે.
પવારે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં 16000 ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે પણ સરકાર કંપનીઓની લોન માફ કરી રહી છે અને ખેડૂતોનુ દેવુ માફ નથી કરી રહી. જે આપણને ભોજન પુરુ પાડે છે તેની લોન માફ કરાતી નથી.