શિવશક્તિ સખી મંડળે ઊભી કરી લખપતિ દીદીની નવી ઓળખ
મહિલા સશક્તિકરણ એ માત્ર એક વિચાર નથી, પરંતુ પરિવાર, ગામ અને સમગ્ર સમાજને આગળ ધપાવતી શક્તિ છે. રાજ્ય સરકારની મિશન મંગલમ યોજના આ વિચારને જમીન પર ઉતારતી એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની બહેનો માટે આ યોજના આત્મવિશ્વાસ, સ્વરોજગાર અને આત્મનિર્ભરતાનું મજબૂત સાધન બની છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગામતળાવખુર્દ ગામમાં કાર્યરત શિવશક્તિ સખી મંડળ આજે આ યોજનાની સફળતાનું જીવંત ઉદાહરણ બનીને ઊભું છે.
નાની બચતથી મોટી સફળતા સુધીની સફર
શિવશક્તિ સખી મંડળની શરૂઆત વર્ષ 2010માં માત્ર રૂપિયા 50ની નાની બચત સાથે કરવામાં આવી હતી. શરૂઆતના દિવસોમાં મંડળ માત્ર ઘરગથ્થુ બચત અને એકબીજાને સહાય કરવા સુધી સીમિત હતું. સમય જતા બહેનોમાં એકતા, વિશ્વાસ અને આગળ વધવાની ઈચ્છા મજબૂત બની. આ નાની શરૂઆત આજે એક બહુવિધ સ્વરોજગારી આધારિત સફળ મોડેલ બની ચૂકી છે, જે અન્ય ગામોની બહેનો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.
સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણમાં બહેનોની ભૂમિકા
તાલુકા પંચાયતના સહયોગથી શિવશક્તિ સખી મંડળે ગામમાં 72 શૌચાલયનું નિર્માણ કરાવી સ્વચ્છતા અભિયાનને ગતિ આપી છે. સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણને જોડતા મંડળે 21 બહેનોને પશુપાલન અને ગોબર ગેસ પ્લાન્ટ અંગે તાલીમ અપાવી છે. આ પહેલથી એક તરફ સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ વધ્યો છે, તો બીજી તરફ પર્યાવરણ રક્ષણ તરફ પણ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
મસાલા ઉદ્યોગથી આત્મનિર્ભરતાની નવી ઓળખ
મંડળના પ્રમુખ શર્મિલાબેનના માર્ગદર્શન હેઠળ બહેનો એકજૂથ બનીને આગળ વધ્યાં. વર્ષ 2014માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મસાલા બનાવવાની તાલીમ મળતાં મંડળે પોતાની બચતમાંથી મસાલા ઉદ્યોગ શરૂ કર્યો. ત્યારબાદ મિશન મંગલમ યોજના અંતર્ગત મળેલા રિવોલ્વિંગ ફંડ, કેશ ક્રેડિટ અને સ્ટાફ ફંડની સહાયથી આ ઉદ્યોગને વધુ વિસ્તૃત બનાવવામાં આવ્યો. આજે મંડળ દ્વારા 18 પ્રકારના વિવિધ મસાલા તૈયાર કરવામાં આવે છે.
પશુપાલન અને ખેતીથી સ્થિર આવક
મસાલા ઉદ્યોગ સાથે સાથે મંડળે પશુપાલન, ખેતી અને વર્મિકોમ્પોસ્ટ ખાતર ઉત્પાદન જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી છે. હાલ પશુપાલનથી દરરોજ આશરે 16 લીટર દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે બહેનો માટે સ્થિર આવકનો સ્ત્રોત બની ગયું છે. ખેતી અને વર્મિકોમ્પોસ્ટ ખાતર ઉત્પાદનથી પણ સારી આવક ઊભી થઈ રહી છે, જેના કારણે બહેનો આર્થિક રીતે વધુ મજબૂત બની છે.
પુરસ્કારો અને “લખપતિ દીદી”ની ઓળખ
આ તમામ પ્રવૃત્તિઓના કારણે શિવશક્તિ સખી મંડળને અત્યાર સુધીમાં 40થી વધુ પુરસ્કારો અને પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે. જેમાં રાજ્યપાલશ્રીના હસ્તે મળેલું સન્માન પણ સામેલ છે. આજે મંડળના મસાલા ઉદ્યોગથી વાર્ષિક અંદાજે રૂપિયા 19 લાખનું ટર્નઓવર થાય છે, જ્યારે પશુપાલનથી રૂપિયા 3 લાખ અને ખેતી તથા વર્મિકોમ્પોસ્ટ ખાતરથી રૂપિયા 5 લાખ જેટલી આવક થાય છે. આ કારણે મંડળની બહેનો “લખપતિ દીદી” તરીકે ઓળખ મેળવતી થઈ છે.
અન્ય બહેનો માટે પ્રેરણાદાયી પ્રયાસ
શર્મિલાબેન ચૌધરીએ માત્ર પોતાનું મંડળ મજબૂત બનાવ્યું નથી, પરંતુ ગામની અંદાજે 110 બહેનોને 10-10ના જૂથમાં સંગઠિત કરીને નવા સખી મંડળોની રચના પણ કરાવી છે. પરિણામે આજે 110થી વધુ બહેનો સ્વરોજગાર સાથે જોડાઈને સ્વાવલંબી બની છે. વનવિભાગના સહયોગથી ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપિત થતાં સ્વચ્છ ઊર્જાનો લાભ મળ્યો છે અને પર્યાવરણનું રક્ષણ પણ થયું છે.
આત્મવિશ્વાસથી ઊભી થયેલી નવી ઓળખ
શર્મિલાબેન ચૌધરીનું કહેવું છે કે આદિવાસી વિસ્તારની બહેનો પહેલાં માત્ર ઘરકામ સુધી જ સીમિત હતી. મિશન મંગલમ યોજનાએ તેમને આત્મવિશ્વાસ આપ્યો અને આગળ વધવાની દિશા બતાવી. આજે મંડળની બહેનો દેશભરમાં સરકારી વેચાણ મેળાઓમાં પોતાના ઉત્પાદનોનું વેચાણ કરે છે અને દર વર્ષે 8થી 9 મેળાઓમાં ભાગ લે છે. આ સફળતા સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને સહયોગ મળે તો ગ્રામ્ય મહિલાઓ પણ સમાજમાં નવી ઓળખ ઊભી કરી શકે છે.

