નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારેમહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં બહારથી આવતા શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. સરેરાશ દોઢથી બે ગણો ઉછાળો આવતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. ખાસ કરીને ગરીબોની કસ્તુરી ગણાતી અને સામાન્ય દિવસોમાં 15 થી 20 રૃપિયો પ્રતિ કિલો વેચાતી ડુંગળીના ભાવ બેથી ત્રણ ગણા ઉછળીને 50 થી 60 રૃપિયે થઈ ગયા છે.
છેલ્લા થોડાક દિવસોથી શાકભાજીમાં તેજીનો જુવાર ચાલી રહ્યો છે. બટેટા, ટામેટા, દૂધી, ભીંડા,કારેલા જેવા શાકભાજીના ભાવોમાં ઉછાળો આવ્યો છે. જેમાં ખાસ કરીને મોટાભાગના શાક સાથે ભળતા અને ખોરાકમાં કોમ્પ્લીમેન્ટરી તરીકે વપરાતી ડુંગળીના ભાવો ત્રણ ગણા વધી જતાં પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ડુંગળીના વધતા ભાવો ગ્રાહકો માટે પરેશાની બની છે. શાકભાજીના સપ્લાયરોના જણાવ્યા પ્રમાણે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે પાક ખરાબ થઈ જવાથી હાલત બગડી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદને ડુંગળીનો જથ્થો કોહવાઈ જતાં સપ્લાય તુટતાં હાલમાં ડુંગળીના ભાવો પ્રતિ કિલોએ ૬૦ રૃપિયા પાર કરી ગઈ છે. સપ્ટેમ્બર 2015 પછી પહેલી વાર ડુંગળી સામાન્ય પ્રજાને દેઝાડી રહી છે. જો આજ સ્થિતિ રહેશે તો આગામી નવરાત્રી તથા દિવાળીના તહેવારો સુધીમાં ડુંગળીના ભાવો 100 રૃપિયા સુધી તેજ થવાની ધારણા વેપારી વર્ગમાં છે. ડુંગળીનો સ્થાનિક સ્ટોક ઓછો હોવાની સામે આગામી તહેવારોમાં વપરાશ ડબલ થવાની સંભાવના જોતાં ડુંગળીની બજાર હજુ તેજ ગરમી પકડશે તેવી ભીતિ સેવાઈ રહી છે.