ઓક્ટોબર મહિનાના પ્રથમ 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ 10 દિવસમાં દેશની સૌથી મોટી બેન્ક એટલે ક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) એ ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નવા નિયમોની અસર વિવિધ કેટેગરીના લગભગ 42 કરોડ ગ્રાહકોને થશે. તો ચાલો જાણીએ કે બેંકના કયા નિયમો બદલાયા છે.
લોન લેનારાઓને રાહત
એસબીઆઈ દ્વારા તમામ પ્રકારની લોન પર સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (એમસીએલઆર) માં 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ 1 વર્ષની લોનનો એલસીએલઆર 8.05 ટકા પર આવી ગયો છે. જો કે, આ કપાત રેપો રેટ સાથે જોડાયેલી લોન પર લાગૂ નહીં થાય. બેંકની આ જાહેરાત પછી હોમ લોન સહિત અન્ય લોન પરના વ્યાજ દરમાં ઘટાડો થયો છે. એટલે કે જો તમે પહેલાથી જ એસબીઆઈની કોઈ લોન પર ઇએમઆઈ આપી રહ્યા છો તો તમારા EMIમાં ઘટાડો કરવામાં આવશે. જો તમે બેંકમાંથી નવી લોન લેવા જઇ રહ્યા છો તો તમારે પહેલાં કરતા ઓછું વ્યાજ ચૂકવવું પડશે.
ડેબિટ કાર્ડ પર ઇએમઆઈ
એસબીઆઇએ તાજેતરમાં એક વિશેષ ‘ડેબિટ કાર્ડ ઇએમઆઈ’ સુવિધા શરૂ કરી છે. આ કાર્ડની મદદથી ગ્રાહકો પીઓએસ મશીન પર ડેબિટ કાર્ડ સાથે ઇએમઆઈ પર ખરીદી કરી શકે છે. આ સેવા અંતર્ગત ગ્રાહકો 6 થી 18 મહિનાના ઇએમઆઈ કરી શકે છે. એટલું જ નહીં કેટલીક બ્રાન્ડ્સ પર ઇન્સ્ટન્ટ ડિસ્બર્સલ અને નો કોસ્ટ ઇએમઆઇ જેવા મોટા ફાયદાઓ પણ થશે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકને કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે.
બચત ખાતામાં જમા થયેલ રકમ પર કાતર
1 નવેમ્બરથી ભારતીય સ્ટેટ બેંક બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધીની થાપણો ધરાવનારાઓને 3.25 ટકા વ્યાજ આપશે. અત્યાર સુધી બેંક ગ્રાહકોને આટલી રકમ પર 3.50 ટકાના દરે વ્યાજ આપતી હતી. એટલે કે હવે બેંકના લખપતિ ગ્રાહકોને 0.25 ટકા ઓછું વ્યાજ મળશે. એસબીઆઈનો આ નિર્ણય બચત ખાતામાં રોકાણ કરનારા ગ્રાહકો માટે આંચકો છે.
રિટેલ અને બ્લક એફડી પર ઘટાડો
એસબીઆઈએ 1 વર્ષથી બે વર્ષ સુધીની મેચ્યોરિટી સાથે રિટેલ અને બ્લક એફડી પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે. એસબીઆઈએ રિટેલ એફડીમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ પછી રિટેલ એફડી પરનો વ્યાજ દર 6.50 ટકાથી ઘટીને 6.40 ટકા થયો છે. એસબીઆઇએ બ્લક એફડીના વ્યાજ દરમાં 0.30 ટકાનો ઘટાડો કર્યો છે. તે હવે 6.30 ટકાથી ઘટીને 6.00 ટકા થઈ ગઈ છે.
માસિક સરેરાશ બેલેન્સમાં ફેરફાર
એસબીઆઇએ મંથલી એવરેજ બેલેન્સ (એમએબી) માં પણ ફેરફાર કર્યા છે. એસબીઆઇની વેબસાઇટ પર અપાયેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે જો માસિક સરેરાશ બેલેન્સ બેંક ખાતામાં જાળવવામાં નહીં આવે તો ચાર્જ ઘટાડવામાં આવશે. આ ઘટાડો 80 ટકા સુધીનો હોઈ શકે છે. આ સિવાય એટીએમ ટ્રાન્ઝેક્શનની મર્યાદા સંબંધિત નિયમોમાં ફેરફારની પણ વાત કરવામાં આવી હતી.