ગામડાંની વાત થતી હોય ત્યારે સામાન્ય રીતે ઇનોવેશનની અપેક્ષા લોકો ઓછી કરતા હોય છે પરંતુ હરિયાણાનાં કુંજપુર ગામના 3 યુવાનોએ આ વાતને ખોટી પુરવાર કરી છે. આ ગામના 3 અગ્રવાલ ભાઈઓ અમિત ,આદિત્ય અને અનુજે ભેગા મળીને ગામને સ્વચ્છ રાખીને વીજળીનું ઉત્પાદન કરે છે.
હરિયાણાના કુંજપુર ગામમાં ઠેર ઠેર છાણનો અંબાર જોવા મળતો હતો અને તમામ જૈવિક કચરો ગામની ગટરમાં જતો હતો. તેને લીધે ગામમાં અનેક સમસ્યા ઊભી થતી હતી. તેને જોઈને ગામના અગ્રવાલ ભાઈઓએ આ સમસ્યાને નિવારવા માટે જૈવિક ખાતર બનાવવાનો વિચાર આવ્યો. આદિત્ય અગ્રવાલે તેના પિતા નવલ કિશોર અગ્રવાલની સલાહ અને ભાઈઓના સહયોગથી તેમની ફેક્ટરીની પાસે વર્ષ 2014માં બાયોગેસ પ્લાન્ટ અમૃત ફર્ટિલાઇઝરની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેઓ માત્ર ગામના છાણા એકઠાં કરતા હતા ધીરે ધીરે તેમણે અન્ય બાયો વેસ્ટ અને એગ્રો વેસ્ટ એકઠું કરીને તેમાંથી ખાતર અને વીજળીનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતું.
અમિત અગ્રવાલ જણાવે છે કે ‘સૌ પ્રથમ અમે બાયોવેસ્ટને એકઠું કરીને તેમાંથી ખાતર બનાવવાનું શરૂ કર્યું હતું. અમે આ ખાતરને બજાર સાથે ખેડૂતોને પણ વેચવાનું શરૂ કર્યું હતું. આ યુવાનો ખેડૂતો પાસેથી ખાતરના પૈસા લેતાં નથી.’ ધીરે ધીરે ખેડૂતોમાં સમજ આવવા લાગી અને તમામ ખેડૂતો જૈવિક ખાતર લેવાનું શરૂ કર્યું.
ગામમાં જૈવિક ખાતરની સફળતા જોઈને આ યુવાનોને બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવાનો ખ્યાલ આવ્યો અને તેમણે ભેગા મળીને વર્ષ 2016માં બાયોગેસ પ્લાન્ટની શરૂઆત કરી.
આ પ્લાન્ટમાં ગામનાં ગોબર સહિતનાં 40 ટન બાયો સોલિડ વેસ્ટનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. તેનાથી પ્રતિદિવસ 2000 યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પ્લાન્ટમાં આશરે 40,000 લિટર ગામના ગંદા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ગામના ગંદા પાણીનો નિકાલ સરળ બને છે.
યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ સાથે 1000 ખેડૂતો જોડાયેલા છે. અમૃત ફર્ટિલાઇઝર સાથે જોડાયા બાદ તમામ ખેડૂતોની આવકમાં પહેલાં કરતાં 60%નો વધારો થયો છે.
અમૃત ફર્ટિલાઇઝરને જોવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે. સરકારે કેટલીક યોજનાઓમાં પણ આ પ્લાન્ટનો ઉલ્લેખ કર્યો છે.
આ પ્લાન્ટની સફળતા જોઈને આ યુવાનો હજુ 3 બાયોગેસ પ્લાન્ટ લગાવાની તૈયારીમાં છે. વેસ્ટ મેનેજમેન્ટ ભારતમાં એક સફળ ઉદ્યોગની જેમ ઉભરી આવ્યો છે. તેનાથી કચરાના નિકાલ સાથે રોજગારીના અવસર પણ મળે છે.