ટેલિકોમ સેક્ટરમાં નીચા ભાવની સ્પર્ધા પૂરી થવાની છે. ટેલિકોમ ઉદ્યોગમાં રિલાયન્સ જિયોના આગમન પછી ખૂબ જ સસ્તી યોજનાઓનો આનંદ માણી રહેલા મોબાઇલ અને ઇન્ટરનેટ વપરાશકારોએ હવે વધુ રૂપીયા ચુકવવા પડશે. એનાલિસ્ટ્સના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ જિયો આગામી સપ્તાહમાં ટેરિફ વધારે તો ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા આગામી ત્રણ મહિનામાં 30 ટકા સુધી ભાવ વધારી શકે તેમ છે.
તેના કારણે આ કંપનીઓ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે અને ટેલિકોમ સેક્ટરમાં પ્રાઇસ ડિસ્કવરીની શરૂઆત થશે. “જિયોએ અગાઉ 15 ટકા ભાવ વધાર્યા પછી હજુ 15 ટકા ટેરિફ વધારો થવાનો છે. તાજેતરમાં તેણે અન્ય નેટવર્ક પર આઉટગોઇંગ કોલ માટે ચાર્જ વસૂલવાનાં પગલાં લીધાં છે તેના કારણે એરટેલ અને વોડાફોન આઇડિયાને સરેરાશ 30 ટકા સુધી ભાવ વધારવા અવકાશ મળશે.” જિયોએ ત્રણ વર્ષ અગાઉ ટેલિકોમ સેક્ટરમાં અત્યંત નીચા ટેરિફ ઓફર કરીને હલચલ મચાવી દીધી હતી.
પ્રાઈસવોરની થઈ શરૂઆત
તેના કારણે પ્રાઇસવોરની શરૂઆત થઈ હતી અને અન્ય ટેલિકોમ કંપનીઓને પ્રચંડ ફટકો પડ્યો છે. વોડાફોન આઇડિયા અને એરટેલે આગામી મહિનેથી ટેરિફ વધારવાની જાહેરાત કરી ત્યાર બાદ જિયોએ આ જાહેરાત કરી હતી. જેફરીઝે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ટ્રાઇનું પ્રાઇસિંગ અંગેનું કન્સલ્ટેશન પેપર જોવાનું રહેશે જેની જિયોએ ચર્ચા કરી છે. ત્રણેય ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફમાં વધારો કરવામાં આવે ત્યાર બાદ ટેલિકોમ સેક્ટર પર નોંધપાત્ર અસર ત્યારે જ પડશે જ્યારે આ વધારો 20 ટકા કરતાં વધુ હોય.
સિટી રિસર્ચે જણાવ્યું હતું કે જિયોનું પગલું ‘ટેલિકોમ સેક્ટર માટે નોંધપાત્ર ટર્નિંગ પોઇન્ટ’ છે અને તે લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ‘પ્રાઇસ ડિસ્કવરી’ની શરૂઆત ગણાશે. જોકે, તેનાથી ટેલિકોમ ક્ષેત્રને કેટલો ફાયદો થશે તેનો આધાર આ ટેરિફ વૃદ્ધિ અને સરકારના રાહતનાં પગલાં પર રહેશે. ક્રેડિટ સુઇસના અંદાજ પ્રમાણે એરટેલ અને વોડા આઇડિયાની ગ્રાહક દીઠ સરેરાશ આવક (ARPU) નાણાકીય વર્ષ 2022 સુધીમાં 55 ટકા વધીને 198 અને 166 થશે. ટેલિકોમ સેક્ટરની નાણાકીય તંદુરસ્તી પર સરકાર ફોકસ કરી રહી છે તે બાબત પણ મહત્ત્વની રહેશે. નાણાકીય વર્ષ 2020 સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એરટેલ અને વોડાફોન આઇડિયાએ અનુક્રમે 128 અને 107ની ARPU નોંધાવી હતી