જન્મદિવસને ઉત્સવ નહીં પરંતુ જનસેવાનો અવસર બનાવનાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ૪૧મા જન્મદિવસની સુરત શહેરમાં ખૂબ જ પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરને માત્ર એક વ્યક્તિગત ઉત્સવ બનાવવાને બદલે સેવાનું પર્વ બનાવવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને બાળ કલ્યાણના અનેકવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ પોતે આ તમામ કાર્યક્રમોમાં હાજર રહીને લોકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સુરતના ઉધના, વેસુ અને પાંડેસરા જેવા વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓના સહયોગથી અનેક જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના અંતિમ છેડે ઉભેલા વ્યક્તિ સુધી સીધી મદદ પહોંચાડવાનો હતો. નાગરિકો અને સ્વયંસેવકોએ પણ આ અભિયાનમાં જોડાઈને રક્તદાન અને આરોગ્ય તપાસ જેવા કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેવાયજ્ઞ દ્વારા સાબિત થયું કે જન્મદિવસની ઉજવણી જો સમાજલક્ષી હોય તો તેની અસર લાંબા સમય સુધી લોકોના જીવનમાં સકારાત્મકતા લાવે છે.
આરોગ્ય અને તબીબી ક્ષેત્રે ભવ્ય સેવાયજ્ઞ
શ્રી સંઘવીના જન્મદિવસ નિમિત્તે શહેરની વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓ માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. સ્વામિ વિવેકાનંદ નેત્રમંદિર દ્વારા ૧૦૧ નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન અને લાયન્સ હોસ્પિટલ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. ડાયમંડ હોસ્પિટલમાં પણ નિઃશુલ્ક પ્રસૂતિ અને દીકરીના જન્મ પર એક લાખના બોન્ડની યોજનાએ અનેક પરિવારોમાં ખુશી ફેલાવી હતી. આ પ્રકારની તબીબી સહાયથી આર્થિક રીતે નબળા પરિવારોને મોટી રાહત મળી હતી.
બાળપણને મળ્યું સ્મિત અને શિક્ષણનું ભાથું
સુરતની સિવિલ હોસ્પિટલ અને શેલ્ટર હોમમાં રહેતા બાળકો માટે આ દિવસ યાદગાર બની રહ્યો હતો. બાળકોને નવા કપડાં, રમકડાં, પૌષ્ટિક આહાર અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનાથ આશ્રમના બાળકોને સ્કૂલબેગ અને સ્ટેશનરી આપીને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ અર્પણ કરીને તેમને નવું જીવન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે નાયબ મુખ્યમંત્રીની સંવેદનશીલતા દર્શાવે છે.
મહિલા સશક્તિકરણ અને જીવદયાના કાર્યો
ગંગાસ્વરૂપા બહેનોને રાશન કીટ અને વિધવા માતાઓને નવા કપડાંનું વિતરણ કરીને મહિલાઓના સન્માનમાં વધારો કરવામાં આવ્યો હતો. ખાટુશ્યામ મંદિર ખાતે ગર્ભવતી મહિલાઓ અને કુપોષિત બાળકો માટે પૌષ્ટિક આહારના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ અબોલ જીવો માટે ગૌશાળાઓમાં ઘાસચારો અને લાડુની સેવા દ્વારા જીવદયાની ભાવનાને વેગ અપાયો હતો. સાયબર ક્રાઈમ સામે જાગૃતિ ફેલાવવા પુસ્તકોનું વિતરણ પણ આજના યુગમાં ખૂબ જ પ્રસ્તુત કાર્ય રહ્યું હતું.
જનસેવાની ભાવનાને વધુ સુદ્રઢ કરવાનો સંકલ્પ
નાયબ મુખ્યમંત્રીએ સુરતવાસીઓ અને સામાજિક સંસ્થાઓનો આભાર માનતા જણાવ્યું કે જન્મદિવસ મારા માટે માત્ર એક અંગત તારીખ નથી પણ સેવા પહોંચાડવાનો અવસર છે. તેમણે કહ્યું કે જ્યારે સમાજના દરેક વર્ગનો સહકાર મળે છે ત્યારે જનસેવા વધુ મજબૂત બને છે. સફાઈકર્મીઓનું સન્માન અને ટુ-વ્હીલર ચાલકો માટે સેફ્ટી ગાર્ડનું વિતરણ એ દર્શાવે છે કે આ ઉજવણીમાં સામાન્ય માનવીની સુરક્ષા અને ગરિમાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું.


