વિશેષ ટ્રેનો દ્વારા પ્રભાસ ભૂમિ પર ઉતર્યા હજારો ભક્તો, હર હર મહાદેવના નાદથી ગુંજ્યું વેરાવળ
ભારતની અખંડ આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા માટે શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ જેવા મોટા શહેરોથી ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશેષ ટ્રેનો મારફતે હજારો શિવભક્તો વેરાવળ રેલવે સ્ટેશન પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓની મુસાફરી સુખદ, સુરક્ષિત અને અનુકૂળ રહે તે માટે તંત્ર દ્વારા અગાઉથી જ માઈક્રો પ્લાનિંગ સાથે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
વેરાવળ રેલવે સ્ટેશન પર ઉતરેલા યાત્રિકોનું સ્વાગત પરંપરાગત અને ભક્તિમય શૈલીમાં કરવામાં આવ્યું હતું. રેલવે પ્લેટફોર્મ પર શરણાઈના સૂર, ઢોલ-નગારાના નાદ અને ગરબાની રમઝટ સાથે શ્રદ્ધાળુઓને વધાવવામાં આવ્યા હતા. આવનાર તમામ ભક્તોને કુમકુમ તિલક લગાવી અને પુષ્પગુચ્છ આપીને આવકારવામાં આવ્યા હતા. આ સ્વાગત જોઈને યાત્રિકોમાં અનેરો ઉત્સાહ અને સોમનાથ દાદા પ્રત્યેની અતૂટ આસ્થાના દર્શન થયા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.
પ્રભાસની પવિત્ર ભૂમિ પર હર હર મહાદેવનો નાદ
૯મી જાન્યુઆરીની વહેલી સવારે સૂર્યોદયની પ્રથમ કિરણ સાથે જ વેરાવળ સ્ટેશન પરિસર જય સોમનાથ અને હર હર મહાદેવના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ ભક્તોના ચહેરા પર પ્રભાસ ક્ષેત્રમાં પધારવાનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સરકાર દ્વારા માત્ર ટ્રેન જ નહીં, પરંતુ સ્ટેશનથી મંદિર સુધી પહોંચવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ખાસ બસોની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાને કારણે શ્રદ્ધાળુઓને પરિવહનમાં કોઈ પણ પ્રકારની અગવડતા પડી રહી નથી.
મુસાફરોની સુવિધા અને વહીવટી વ્યવસ્થાપન
સ્વાભિમાન પર્વ દરમિયાન આવનારા લાખો લોકોના માર્ગદર્શન અને સુવિધા માટે વેરાવળ ખાતે કંટ્રોલ રૂમ અને વોલન્ટિયર્સની ટીમ સતત કાર્યરત છે. સ્ટેશનથી મંદિર જવા અને દર્શન કરીને પરત આવવા માટે એસ.ટી. નિગમની બસો સતત ફેરા લગાવી રહી છે. મુસાફરો માટે પીવાના પાણી, પ્રાથમિક સારવાર અને રહેવા-જમવાની વ્યવસ્થાનું પણ સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રના આ સમન્વિત આયોજનને કારણે દેશભરમાંથી આવતા શિવભક્તો કોઈપણ ચિંતા વગર મહાદેવના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.
યાત્રિકોએ વ્યક્ત કર્યો સરકારનો આભાર
આ વિશેષ સુવિધાનો લાભ લેનાર યાત્રિકોએ પોતાની પ્રતિક્રિયામાં સંતોષ વ્યક્ત કર્યો હતો. તાપી જિલ્લાના અક્ષય પંચાલે જણાવ્યું કે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સુવિધાઓને કારણે તેઓ ખૂબ જ સારી રીતે દર્શન કરી શકશે. તેવી જ રીતે સુરતના હેલીબેન રાઠોડે ટ્રેનની મુસાફરી અને સ્ટેશન પરના સ્વાગતને વખાણતા કહ્યું કે સ્ટેશનથી મંદિર સુધીની બસ સેવાને કારણે દર્શન કરવા ખૂબ જ સરળ બન્યા છે. ભક્તોએ આ ઐતિહાસિક મહોત્સવમાં જોડાવાની તક આપવા બદલ સરકારનો આભાર માન્યો હતો.


