મૂળ ભારતના બે મહિલા વકીલોને ન્યુયોર્ક શહેરની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમવામાં આવ્યા છે. ન્યુયોર્ક શહેરના મેયર બિલ ડે બ્લાસિયોએ આ નિયુક્તિ કરી છે. બંને મહિલાઓને ફોજદારી કોર્ટ અને દિવાની કોર્ટના ન્યાયાધીશ પદે નિમવામાં આવ્યા છે. આ પૈકી અર્ચનારાવ નામના ધારાશાસ્ત્રીને ફોજદારી કોર્ટ, જ્યારે દીપા અંબેકરને દિવાની કોર્ટમાં ન્યાયાધીશ બનાવાયાં છે. રાવને આ અગાઉ જાન્યુઆરી 2019માં દિવાની અદાલતમાં વચગાળાના ન્યાયાધીશપદે નિમવામાં આવ્યા હતા. અર્ચના રાવ ન્યુયોર્ક કાઉન્ટી જિલ્લા અટોર્ની કાર્યાલયમાં 17 વર્ષથી કાર્યરત છે.
અન્ય ધારાશાસ્ત્રી દીપા અંબેકરને મે 2018માં દિવાની અદાલતમાં વચગાળાના ન્યાયાધીશરૂપે નિયુક્ત કરાયા હતા. મેયર ડે બ્લાસિયોએ ફેમિલા કોર્ટ, ફોજદારી કોર્ટ અને દિવાની કોર્ટમાં 28 ન્યાયિક નિમણૂંકો કરી છે. જે ગઈ તા.1 જાન્યુઆરીથી અમલી બની છે. ન્યાયાધીશ અર્ચના રાવ અમેરિકાના ફાયનાન્સિયલ ફ્રોડસ બ્યુરોના વડા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વાસ્સાર કોલેજના સ્નાતક એવા રાવે ફોરધામ યુનિવર્સિટી સ્કુલ ઓફ લોમાંથી જ્યુરિસ ડોક્ટરની પદવી મેળવી છે. દીપા અંબેકર અગાઉ ન્યુયોર્ક સિટિ કાઉન્સિલમાં વરિષ્ઠ ધારાકીય વકીલ તેમજ જાહેર સલામતી સમિતિના વકીલ રહી ચૂક્યા છે.
તેઓ અમેરિકાની કાનૂની સહાય સમિતિ અને ક્રિમિનલ ડિફેન્સ વિભાગના સ્ટાફ- વકીલ પણ હતા. દીપા અંબેકર યુનિવર્સિટી ઓફ મિશિગનના સ્નાતક છે. અને રૂટગર્સ લો સ્કૂલમાંથી જ્યુરિસ ડોકટર બન્યા છે. મેયરે નિમણૂંક પછી જણાવ્યું કે આ હોદ્દા પર નિમણૂંક મેળવનારા ઉપરોક્ત વ્યાવસાયિકો ગૌરવપૂર્વક ન્યુયોર્કનું પ્રતિનિધિત્વ કરે છે. અદાલતી કામકાજ ક્ષિતિવિહીન બની રહે એ માટે આ લોકો અવિરત કાર્યરત રહેશે. આપણે સુહ કોઈ માટે સુંદર સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ એની ખાતરી માટે આ સમુદાયની સેવા આવશ્યક છે.