Progressive horticulture farmer : 2 વીઘામાં ખારેકના 100 વૃક્ષો વાવી મહિને લાખોની આવક
Progressive horticulture farmer : પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુવારદ ગામના ખેડૂત લકુમ હસમુખભાઈએ બાગાયત ખેતી દ્વારા પોતાના જીવનમાં નવી ઉંચાઈ હાંસલ કરી છે. તેઓએ માત્ર 2 વીઘા જમીનમાં ખારેકના 100 જેટલા વૃક્ષો ઉગાડીને દર વર્ષે 3 લાખ રૂપિયાની આવક મેળવી છે. તેમની આ સફળતાની પાછળ ચિંતનપૂર્વક લીધેલો નિર્ણય અને સરકારની સહાયનું યોગદાન છે.
ખારેકના પાકથી થાય છે લાખોની આવક
લકુમભાઈએ ખારેકના બારાહી જાતોનું વાવેતર કર્યું છે. દર એક ઝાડ લગભગ 50 કિલો સુધી ઉત્પાદન આપે છે, જ્યારે સંપૂર્ણ વૃદ્ધ અવસ્થાએ એક ઝાડ 200 કિલો સુધી ખારેક આપી શકે છે. બજારમાં ખારેકનું વેચાણ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલોના દરે થાય છે, જેને કારણે તે ઓછા ખર્ચે વધુ આવક આપતો પાક સાબિત થયો છે.
ઓછા ખર્ચે ઊંચી કમાણી
તેઓએ ખારેકના રોપા માટે દરેક ઝાડ પાછળ અંદાજે ₹3750 ખર્ચ કર્યો હતો, જેમાંથી ₹1250 ની સહાય રાજ્ય સરકાર તરફથી મળી હતી. ઉપરાંત, નરેગા યોજનાની અંદર મજૂરી માટે પણ સહાય મળી, જેનાથી કુલ ખર્ચ ઘટાડાયો. લકુમભાઈએ જણાવ્યા મુજબ એક સિઝનમાં 25થી 30 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે, પણ તેનું ઉત્પાદન લાખો રૂપિયાની આવક આપે છે.
પરંપરાગત ખેતીને કહ્યું અલવિદા, નવો માર્ગ અપનાવ્યો
પરંપરાગત ચણા, જીરું, કપાસ જેવી ચોમાસાની ખેતીની મર્યાદાઓને ધ્યાને લઇને લકુમભાઈએ બાગાયત ખેતી તરફ વળાંક લીધો. પાટણમાં પાણીની અછત હોવાને કારણે ચોમાસું અવલંબિત ખેતીમાં ઘણીવાર નુકસાન થાય છે. ત્યારે તેઓએ ખારેક જેવી ઓછી પાણીની જરૂરિયાત ધરાવતા પાકને પસંદ કર્યો.
સ્થાનિક બજારમાં વેચાણ અને ભવિષ્યની યોજના
હાલ તેઓ સ્થાનિક બજારમાં જ ખારેકનું વેચાણ કરે છે, પણ આગામી વર્ષોમાં બહારના માર્કેટ માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, જ્યારે ઝાડો સંપૂર્ણપણે પરિપક્વ થશે ત્યારે ઉત્પાદન ત્રણથી ચારગણું વધશે અને તે દેશભરમાં વેચાણ માટે તૈયાર થશે.
પ્રેરણાદાયી ખેડૂત જીવનકથા
લકુમ હસમુખભાઈએ 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને આજે 45 વર્ષની ઉંમરે તેમના નિર્ણયથી આજે બાગાયત ખેતીમાં નિષ્ણાત બની ચૂક્યા છે. તેમના કાર્યમાંથી સાબિત થાય છે કે જો યોગ્ય આયોજન, સરકારની સહાય અને નવા વિચારો સાથે ખેતી કરવામાં આવે તો ઓછી જમીનથી પણ ઊંચી આવક મેળવી શકાય છે.
બાગાયત દ્વારા આર્થિક સ્વાવલંબન
ખારેક જેવા પાકો ખેતીમાં નવી તકો ઉભી કરે છે. લકુમભાઈનો અનુભવ બતાવે છે કે ચોમાસુ અવલંબિત વિસ્તારમાં પણ ખેડૂતો બાગાયત ખેતી દ્વારા પોતાનું આર્થિક જીવન સુધારી શકે છે. તેમની જેમ અન્ય ખેડૂતો માટે પણ આ એક મજબૂત ઉદાહરણ બની શકે છે.