Groundnut seed treatment for pest control: બીજ વાવેતર પહેલા ક્લોરપાયરીફોસ, ક્વિનલફોસ અને ટ્રાયકોડર્મા જેવી દવાઓથી માવજત કરવાથી ઉત્પાદન વધે છે
Groundnut seed treatment for pest control: ઉત્તર ગુજરાત, ખાસ કરીને મહેસાણા જિલ્લામાં મગફળીના પાકનો વાવેતર દર વર્ષે વધી રહ્યો છે. મગફળી એક મુખ્ય રોકડ પાક છે, પરંતુ તેનું યોગ્ય સંચાલન ન થાય તો જમીનજન્ય રોગો અને જીવાતોથી મોટું નુકસાન સહન કરવું પડે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેરવાના વૈજ્ઞાનિક ડૉ. રમેશભાઈ પટેલ જણાવે છે કે મગફળી વાવતાં પહેલાં બીજની યોગ્ય માવજત ખૂબ જ આવશ્યક છે.
તેમના જણાવ્યા મુજબ, “ડોળ અને ઉધઈ જેવી જમીનમાં રહેલી જીવાતો પાકને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. મગફળીના છોડનું મૂળ નષ્ટ થઈ જાય છે અને 10થી 60% સુધી નુકશાન થતું હોય છે. આ સમસ્યાને રોકવા માટે વાવેતર પહેલાં બીજ પર દવાનો પટ આપવો અત્યંત અસરકારક છે.”
બીજ માવજત માટે કેવી દવા વાપરવી?
ડૉ. પટેલ અનુસાર, મગફળીના બીજ પર 20 મિલી પ્રતિ કિલો પ્રમાણે ક્લોરપાયરીફોસ 20% EC અથવા ક્વિનલફોસ 25% EC દવાનું મિશ્રણ કરવું. બીજને પ્લાસ્ટિકની ટ્રીમાં મુકી દવા સાથે યોગ્ય રીતે મિશ્રિત કરો. ધ્યાન રહે કે પાણીનો ઉપયોગ ન કરવો. માવજત કર્યા બાદ લગભગ 3-4 કલાકમાં વાવેતર કરવો.
તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ રીતે ઓછા ખર્ચે દરેક 1 રૂપિયા સામે ખેડૂતને 100 રૂપિયાનો નફો શક્ય છે.”
ફૂગ સામે બાયો ફંગસ ટ્રાઈકોડર્મા ઉપયોગી
મગફળીના પાકમાં 25 થી 35 દિવસ પછી થડમાંથી ઉપજતી સફેદ કે કાળી ફૂગની સમસ્યા પણ ચિંતાજનક છે. આથી બીજમાં ટ્રાઈકોડર્મા વિરીડે નામના જીવાણુનો ઉપયોગ કરવો. 20 ગ્રામ પ્રતિ કિલો બિયારણના પ્રમાણમાં ટ્રાઈકોડર્મા ભેળવો.
ખેતરમાં ટ્રાઈકોડર્માનો ઉપયોગ કેવી રીતે કરવો?
જમીનમાં પણ દિવેલી, લીંબોળી કે કરંજનો ખોળ (125 કિગ્રા) સાથે 1 કિગ્રા ટ્રાઈકોડર્મા પાવડર ભેળવીને વાવેતર સમયે નાખવાથી ફૂગને અટકાવી શકાય છે. આ પ્રક્રિયા સાથે મગફળીના પાકનું આરોગ્ય મજબૂત થાય છે અને પાકનો આવક દર સુદૃઢ બને છે.