India mango export rejected by US : અમેરિકાના બજારમાં કેરીની માંગણી અટકાવવાથી ભારતીય નિકાસકારોને ભારે આર્થિક ઝટકો લાગ્યો
India mango export rejected by US : અમેરિકા તરફથી ભારતના કેરી ઉત્પાદકો અને નિકાસકારો માટે મોટો આંચકો સામે આવ્યો છે. સમાચાર અનુસાર, યુનાઈટેડ સ્ટેટ્સના અધિકારીઓએ ભારતીય કેરીના ઓછામાં ઓછા 15 શિપમેન્ટ્સને સ્વીકારવામાં સ્પષ્ટ ના પાડી છે. આ નિર્ણયને કારણે નિકાસકારો પર લાખો ડોલરનું આર્થિક બોજ આવ્યું છે, જ્યારે ખેડૂતોમાં પણ ભારે નિરાશા ફેલાઈ છે.
દસ્તાવેજી ખામીને લીધે થયો ઇન્કાર
ભારતીય કેરીના શિપમેન્ટ્સ લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો અને એટલાન્ટા જેવા એરપોર્ટ્સ પર રોકાઈ ગયા હતા. કહેવામાં આવે છે કે દસ્તાવેજોમાં ગડબડ તેમજ રેડિયેશન પ્રક્રિયા અંગે યોગ્ય માહિતીના અભાવે અમેરિકાએ આ કઠોર નિર્ણય લીધો.
શિપમેન્ટ નકારી કાઢ્યા પછી નિકાસકારોને બે વિકલ્પ આપવામાં આવ્યા – કેરી પાછી ભારતમાં મોકલવી કે તેને ત્યાં જ નષ્ટ કરવી. ઉંચા પરિવહન ખર્ચ અને કેરી નાશવંત ફળ હોવાથી મોટાભાગના નિકાસકારોએ નષ્ટ કરવાની પસંદગી કરી.
રેડિયેશન પ્રક્રિયામાં ભૂલ?
કેરીના નિકાસ પહેલાં જીવાતમુક્ત બનાવવા માટે રેડિયેશન સારવાર જરૂરી ગણાય છે. માહિતી અનુસાર, 8 અને 9 મેથી વચ્ચે મુંબઈ સ્થિત એક રેડિયેશન પ્લાન્ટમાં કેરીને રાખવામાં આવી હતી.. પરંતુ દસ્તાવેજોમાં રેડિયેશન સંબંધિત વિગતો સચોટ ન હોવાના આક્ષેપો થયા છે, જેના કારણે અમેરિકાએ મંજૂરી આપવાનું ટાળ્યું.
USDAના અધિકારીની હાજરીમાં થઇ હતી પ્રોસેસ
નિકાસકારોના જણાવ્યા અનુસાર, રેડિયેશન પ્રક્રિયા નવી મુંબઈની એ ફેસિલિટીમાં થઈ હતી, જ્યાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA)ના અધિકારી પણ હાજર હતા. તેમ છતાં શિપમેન્ટ પાછું મોકલાવવાનું કે નષ્ટ કરવાનો વિકલ્પ આપવા નિકાસકારોને આ ઘટનાથી મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.
USDA અને ભારતીય અધિકારીઓની પ્રતિક્રિયા
USDA તરફથી જાણવા મળ્યું છે કે તેઓ આ શિપમેન્ટ માટે કોઈ “અનુમતિયોગ્ય સારવાર” આપવા તૈયાર નથી. ભારતીય કૃષિ ક્ષેત્રની સંલગ્ન સંસ્થાઓ અનુસાર, આ મામલો મહારાષ્ટ્રના વાશી સ્થિત સ્ટેટ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડની ફેસિલિટી સાથે સંકળાયેલો છે. તેમને પણ વધુ વિગતો માટે સંકળાવવાની તજવીજ કરવામાં આવી રહી છે.
વિશ્વમાં કેરી ઉત્પાદનમાં ભારત અગ્રેસર
વિશ્વની લગભગ 43 ટકા કેરી ભારતમાં ઉગે છે. અહીં 1000થી વધુ જાતોની કેરી ઉપલબ્ધ છે. આમ, ભારત માટે કેરી એક માત્ર ખેતી ઉત્પાદન નહીં, પણ વિશાળ નિકાસ બજારનું દ્વાર પણ છે.
પરંતુ આવાં દસ્તાવેજી પ્રશ્નો અને તકનિકી ખામીઓથી ઊભા થતા ખોટના કારણે નિકાસકારો અને ખેડૂતો બંનેને નુકસાન સહન કરવું પડે છે. ભારત માટે આવાં મુદ્દાઓ ભવિષ્યમાં ટાળવા યોગ્ય પ્રક્રિયા અને પરિચલન વ્યવસ્થા સ્થાપિત કરવી જરૂરી બની ગઈ છે.