Low cholesterol egg: આયુર્વેદ આધારિત આહારથી પેદા થયું સ્વસ્થ ઈંડું
Low cholesterol egg: હૃદયના રોગોથી પીડાતા અનેક લોકોને હંમેશા આ પ્રશ્ન સતાવતો રહ્યો છે કે શું તેમને ઈંડા ખાવા જોઈએ કે નહીં? ઈંડામાં કોલેસ્ટ્રોલ વધુ હોવાથી ઘણા લોકો તેને દૂર જ રાખે છે. પરંતુ હવે આ શંકા નહી રહે, કારણ કે સેન્ટ્રલ એવિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CARI) એ હૃદય માટે સલામત, ઓછા કોલેસ્ટ્રોલવાળું ઈંડું વિકસાવ્યું છે.
ઓછું કોલેસ્ટ્રોલ, વધુ પોષણ
CARIના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા આ ઈંડામાં સામાન્ય ઈંડાની તુલનાએ લગભગ 30% ઓછું કોલેસ્ટ્રોલ છે, જ્યારે તેમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ 6-8% વધારે છે. એટલે કે, હવે ઈંડામાંથી મળતા પ્રોટીન, ઓમેગા-3, ઓમેગા-6 અને અન્ય અગત્યના તત્વો વધુ પ્રમાણમાં મળશે અને હૃદય પર ભાર પણ ન પડશે.
મરઘીઓના આહારમાં આયુર્વેદનો સ્પર્શ
આ નવું ઈંડું તૈયાર કરવા માટે, CARIની ટીમે મરઘીઓને સામાન્ય ખોરાક બદલીને ખાસ આયુર્વેદ આધારિત ખોરાક આપ્યો. જેમાં આદુ, લસણ, તજ અને કાળું જીરુ જેવા ઔષધીય ઘટકોનો સમાવેશ કર્યો. ત્રણ અઠવાડિયા સુધી મરઘીઓને આ આહાર આપ્યા પછી તેમના ઈંડામાં પોષકતાની માત્રા બદલાઈ ગઈ.
વૈજ્ઞાનિક ડૉ. પ્રવીણ ત્યાગીની આગેવાની
આ સંશોધનના માર્ગદર્શક ડૉ. પ્રવીણ ત્યાગી અને તેમની ટીમે આ ટેકનોલોજીનું પેટન્ટ પણ મેળવ્યું છે. તેમજ તેને હૈદરાબાદ સ્થિત ખાનગી કંપનીને ટ્રાન્સફર કરીને વ્યાપારિક ઉત્પાદન માટે પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. આમ આ ઈંડું ટૂંક સમયમાં બજારમાં ખરીદી માટે પણ ઉપલબ્ધ થવાની શક્યતા છે.
હવે ઈંડા હૃદય માટે ખતરો નહીં, પણ લાભકારક
આ અભિગમ માત્ર વૈજ્ઞાનિક પડકાર નહીં, પણ આરોગ્યજ્ઞોની જરૂરિયાત પણ છે. હૃદયના દર્દીઓ હવે આ નવા પ્રકારનું ઈંડું આશ્વાસન સાથે ખાઈ શકે છે. લાંબા સમયથી ઈંડા વિશે રહેલી ગેરસમજ દૂર કરવા માટે આ સંશોધન એક મજબૂત જવાબરૂપ છે.
ઈંડા હવે માત્ર એક પ્રોટીન પાવરહાઉસ નહિ રહ્યા, પણ આ નવા સંશોધન પછી તે હૃદય માટે સારા વિકલ્પ તરીકે પણ ઊભરી રહ્યા છે. જેથી આરોગ્યપ્રેમી લોકો, ખાસ કરીને હૃદયના દર્દીઓ, ભવિષ્યમાં વધુ ભરોસાથી ઈંડાને પોતાના આહારમાં સામેલ કરી શકશે.