Soybean Genome Editing: ખેડૂતો માટે ઉકેલ શોધવાનું મુખ્ય ધ્યેય
Soybean Genome Editing: કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઇન્દોર ખાતે કૃષિ વૈજ્ઞાનિકો, ખેડૂતો, કેન્દ્રીય કૃષિ અધિકારીઓ અને સોયાબીન ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે એક વિશેષ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું કે દેશના નાના ખેડૂતો માટે ખાસ પ્રયાસ જરૂરી છે. સોયાબીનનું ઉત્પાદન વધારવા માટે હવે જીનોમ એડિટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે.
નાના ખેડૂતો માટે નવી તકનીક
શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે ભારતના નાના ખેડૂત માટે મોટા પ્રમાણમાં પાકનું ઉત્પાદન કરવું પડકારરૂપ છે. તેથી જ હવે સરકાર નાના ખેડૂતો માટે ખાસ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. બ્રાઝિલ અને અમેરિકાની તુલનાએ ભારતના ખેડૂતો નાના વિસ્તાર પર ખેતી કરે છે, તેથી ખાસ તકનીકો જરૂરી છે.
વૈજ્ઞાનિકો ખેતરમાં ઉતરી કામ કરશે
કૃષિમંત્રીએ ભાર મૂક્યો કે વૈજ્ઞાનિકો હવે માત્ર પ્રયોગશાળામાં નહીં પણ ખેતરમાં ઉતરી ખેડૂતો પાસેથી શીખશે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ 2170 ટીમોએ ગામડાઓમાં જઈને ખેડૂતો પાસેથી માહિતી મેળવી છે. અનેક ખેડૂતો દ્વારા અજમાવાયેલા ઉપાયો હવે વૈજ્ઞાનિકો માટે માર્ગદર્શનરૂપ બનશે.
બીજોની ગુણવત્તા માટે કડક પગલાં
શિવરાજ સિંહે ચેતવણી આપી કે ખરાબ બીજ, જંતુનાશક કે ખાતરો પુરું પાડનારા સામે કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે બીજોની ગુણવત્તાની ખાતરી માટે વૈજ્ઞાનિકો તથા અધિકારીઓ ખેડૂતો સાથે મળીને કામ કરશે.
સોયાબીનના ઉત્પાદનમાં ક્રાંતિ લાવવાનું લક્ષ્ય
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારત દર વર્ષે 1 લાખ 33 હજાર કરોડ રૂપિયાનું તેલ આયાત કરે છે. આવી સ્થિતિમાં સોયાબીનનું ઉત્પાદન વધારવું જરૂરી છે. સરકાર એવી નીતિ બનાવશે કે ખેડૂતોને વાજબી ભાવ મળે અને ખરીદી વ્યવસ્થાઓ વધારે પારદર્શક બને.
વૈજ્ઞાનિકો, ખેડૂત અને અધિકારીઓ માટે નવા નિયમો
શિવરાજ સિંહે કહ્યું કે હવે વૈજ્ઞાનિકો અઠવાડિયામાં 3 દિવસ ખેડૂતો સાથે કામ કરશે, જયારે તેઓ પોતે અઠવાડિયામાં 2 દિવસ ખેડૂતો સાથે વિતાવશે. તમામ અધિકારીઓ તથા વૈજ્ઞાનિકો ખેતરમાં આવી, રોગોની ઓળખ કરી તેમનો ઉકેલ શોધશે.
આધુનિક મશીનોનો ઉપયોગ
કેન્દ્રિય કૃષિમંત્રીએ રાષ્ટ્રીય સોયાબીન સંશોધન સંસ્થાની મુલાકાત લીધી, જ્યાં તેમણે ઓછા ખર્ચે તથા ઓછી મહેનતમાં બીજ ઉપચાર માટે વિકસાવાયેલા મશીનોનું નિરીક્ષણ કર્યું. તેમણે ટ્રેક્ટરથી સોયાબીન વાવ્યું અને નવી સંશોધન તકનીકો અંગે વૈજ્ઞાનિકો પાસેથી માહિતી મેળવી.
ભાવિ દિશા: કપાસ, શેરડી તથા કઠોળનું સંશોધન
સોયાબીનમાં સફળતા મેળવ્યા બાદ, ચૌહાણે જણાવ્યું કે આગળનું લક્ષ્ય કપાસ, શેરડી તથા કઠોળ પાકમાં સંશોધન કરી ખેડૂતો માટે નવા રસ્તાઓ વિકસાવવાનું રહેશે.