અમદાવાદના ઓગણજમાં વરસાદી પાણી ભરાતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર રદ કરવામાં આવ્યો છે.
ગઈકાલે અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ જતા બાબા બાગેશ્વરના દરબાર કાર્યક્રમ રદ કરવો પડ્યો છે. સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનને કારણે બાબાના દરબારનો મંડપ તૂટી પડ્યો હતો. કરા સાથે ધોધમાર વરસાદ વરસતા ભાવિકો ખુરશીનો સહારો લેતા જોવા મળ્યા હતા.
ઓગણજમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર લાગવાનો છે તે ગ્રાઉન્ડ પર પાણી જ પાણી થતા આજનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. ત્યાંની તસવીરોને જોતા બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર થશે કે કેમ તેના પર અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી. એકતરફ દૂરદૂરથી લોકો ગ્રાઉન્ડ પર આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારે સૌના મનમાં એક જ સવાલ હતો કે, બાબાનો દિવ્ય દરબાર આજે ભરાશે કે નહીં. પરંતુ આ અંગે હજી આયોજકોએ કોઇ નિવેદન આપ્યું નથી
બીજી તરફ જ્યાં દિવ્ય દરબાર થવાનો છે તે સ્થળ ઉપર ગુજરાત બહારના રાજ્યના લોકો બાબાના દર્શન માટે વહેલી સવારથી જ આવવાના શરૂ થઈ ગયા છે. એટલું જ નહીં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી પણ લોકો ગ્રાઉન્ડ પર પહોંચી રહ્યા છે.