અમદાવાદમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજથી બે દિવસ દિવ્યદરબાર યોજાનાર હોય તંત્ર હરકતમાં આવ્યું છે અને ટ્રાફીક તેમજ બંદોબસ્ત માટે આયોજન થયું છે, ભીડને ધ્યાને લઇ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ઓગણજ રિંગ રોડ સર્કલ ખાતે યોજાવાનું નક્કી થયું છે.
આ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં શક્તિ ચોકમાં દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ ભક્તોની સંખ્યા વધી પડવાની સ્થિતિ જોતા આ કાર્યક્રમ સ્થળની જગ્યા ખૂબ જ નાની પડતી હોવાથી અવ્યવસ્થા સર્જાય તેવી શક્યતાને પગલે હવે સરદાર પટેલ રિંગરોડ પર ઓગણજ પાસેના વિશાળ મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે.
કાલે સાંજે પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારાના નેતૃત્વ હેઠળ ગુરુ વંદના મંચ દ્વારા ગાંધીનગરના ઝુંડાલ સર્કલ નજીક આવેલા રાઘવ ફાર્મમાં બાગેશ્વર બાબાના એક દિવસના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ દિવ્ય દરબારમાં રાજ્યના પીઠાધીશ્વરો, મહામંડલેશ્વરો, કથાકારો સહિતના તમામ મોટી સંખ્યામાં સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન ગતરોજ મા અંબાના દર્શન બાદ બાબા બાગેશ્વર હેલિકોપ્ટરમાં અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પહોંચ્યા હતા. અહીં મા ઉમિયાની પૂજા-આરતી કરી હતી. બાબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઊમટ્યા હતા.અહીં મા ઉમિયાના મંદિરની શિલાનું પૂજન પણ કર્યું.વિશ્વ ઉમિયાધામ ખાતે પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારા સહિત સંતોએ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્વાગત કર્યું હતું.
અમદાવાદમાં 29મી અને 30મી મેના રોજ બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.