રાજ્યમાં બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી બાદ રવિવારે સાંજે 6.30 પછી અમદાવાદમાં એકાએક ભારે પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો અને મોટાભાગના વિસ્તારમાં કરા પડતા લોકોને માથામાં વાગ્યા હતા તો વાહનોના મીરર તેમજ ફોર વ્હીલરના કાચ તૂટ્યા હતા.
અમદાવાદમાં જોધપુર, ચાંદખેડા, મણિનગર, પાલડી, ચાંદલોડિયા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. જોધપુર, સેટેલાઈટ, વેજલપુર, જીવરાજપાર્ક, નારોલ, વટવા, બાપુનગર અને મણિનગરમાં જળબંબાકાર સર્જાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.
ભારે પવન અને વરસાદને કારણે શહેરમાં 15થી 20 જેટલા વૃક્ષો, સાઈન બોર્ડ અને હોર્ડિંગ તૂટી પડ્યા હતા ઉપરાંત જુહાપુરામાં એક મોબાઈલ ટાવર જમીનદોસ્ત થયો હતો. પૂર્વના કેટલાક વિસ્તારમાં કાચા મકાનોના પતરાં ઉડ્યા હતા.
વરસાદની સાથે કરા પડતા ખુલ્લામાં પાર્ક કરેલી અનેક કારના કાચને તિરાડ પડી ગઈ હતી.
જ્યારે ટુ-વ્હિલરના મીટર પરના કાચ તૂટી ગયા હતા. વરસાદને લીધે ખાણીપીણી બજારોમાં ભાગદોડ મચી ગઈ હતી. કોબાથી વૈષ્ણોદેવી રોડ પર ત્રણથી ચાર કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. વૈષ્ણોદેવી અંડરપાસ બંધ કરી દેવાતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.
લગભગ 2 કલાકમાં 4 ઈંચ સુધી વરસાદ પડતા સાબરમતી નદીમાં પાણીનું લેવલ વધી જતાં વાસણા બેરેજના 2 દરવાજા ખોલવા પડ્યા હતા.
સાંજે અંદાજે 6.30 પછી શરૂ થયેલા ભારે વરસાદથી શહેરના સંખ્યાબંધ વિસ્તારમાં પાણી ભરાયા હતા. વીજળીના કડાકા અને તોફાની પવન ઉપરાંત ખાડિયાથી માંડી બોપલ સુધીના વિસ્તારમાં મીઠાના ગાંગડા કરતાં પણ મોટા કરા પડ્યા હતા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આઇપીએલની ફાઇનલ મેચ દરમિયાન અચાનક ભારે વરસાદ તૂટી પડતા 70 હજારથી વધુ દર્શકો પાંચ કલાક સુધી પલળતા રહ્યા હતા.
આમ,અમદાવાદમાં ભારે વરસાદ પડતાં અફરા તફરી મચી જવા પામી હતી, સાથે સાથે વરસાદના કારણે અનેક ફ્લાઈટનું લેન્ડિંગ ખોરવાયું હતું. 8 ડોમેસ્ટિક ફ્લાઈટ અમદાવાદના રડારમાં આવી હતી પરંતુ રન-વે પર વિઝિબિલિટી ડાઉન થઈ જતાં લેન્ડિંગની મંજૂરી અપાઈ ન હતી. આ તમામ ફ્લાઈટે આકાશમાં 25 થી 35 મિનિટ સુધી ચક્કર મારવા પડ્યા હતા જ્યારે પાંચ ફ્લાઈટમાં ઇંધણ એલર્ટ આવે પહેલા કેપ્ટને ડાઈવર્ટ કરવી પડી હતી.