રાજ્યમાં દેમાર વરસાદ થતાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ વચ્ચે આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી વરસાદની સ્થિતિ ઉપર ચર્ચા કરી સબંધિત વિભાગ અને તંત્રને એલર્ટ રહેવા સૂચનાઓ આપી હતી.
અમદાવાદમાં અતિભારે વરસાદ થતા જનજીવન ખોરવાયું હતું, આજે શાળા કોલેજ બંધ રાખવામાં આવી છે.
ઠેરઠેર પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
પ્રહલાદનગર પાસેના ઔડા તળાવની પાળ તૂટતા વ્રજવિહાર એપાર્ટમેન્ટનું બેઝમેન્ટની આખેઆખી કાર ડૂબી ગઈ હતી
પાલડી-વાસણા, એલિસબ્રિજમાં પ્રહલાદનગરમાં ભારે પાણી ભરાયા હતા, તળાવ ફાટતા વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી ગાડીઓ ડૂબી હતી.
પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ પડતા ચારે તરફ પાણી ભરાઈ ગયા હતા.
જ્યારે વાડજ, ઇન્કમટેકસ ,આશ્રમ રોડ વિસ્તારમાં 14.62 ઇંચ, બોડકદેવ-વસ્ત્રાપુર વિસ્તારમાં 12.08 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા ત્રણેય અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી.
મોડી રાતે લોકોના ઘરમાં પાણી ઘુસી જતા લોકોનેભારે હાલાકી ભોગવવી પડી હતી.
દાણીલીમડા પંચવટી વિસ્તારની તમામ સોસાયટીઓમાં ઘરમાં કમર સુઘી વરસાદના પાણી ભરાયા હતા. નહેરુનગરથી માણેકબાગ સુધી પાણી ભરાઇ જતા BRTS ની સેવા ખોરવાઇ હતી પરિણામે અનેક મુસાફરો અટવાઈ ગયા હતા, અમદાવાદમાં રાતના 12 વાગ્યા બાદ પણ વરસાદ વરસ્યો હતો જેના કારણે વેજલપુર વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. વેજલપુર વિસ્તારમાં રાતના 11.30થી અંધારપટ છવાયું હતુ. શહેરમાં સોમવારની વહેલી સવાર સુધી વરસાદ ધીમીધારે વરસતા અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણી હજી સવારે સાત વાગે પણ નીકળ્યા નથી. ભારે વરસાદ ખાબકતા વાસણા બેરેજનાં 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. બેરેજના 19થી 23 નંબરના ગેટ 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા.