અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નરોડા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરે તે પહેલાંજ દલિત સમાજની મહિલાઓ નરોડા રેલવે ઓવરબ્રિજના કાર્યક્રમ સ્થળ પાસે પહોંચતા પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલો છે.
પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થતાં 30 જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. આ તમામને ગોમતીપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા છે.
આજે સવારે જ પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દલિત સમાજના કેટલાક આગેવાનોની અટકાયત કરી હતી.
આજે સાંજે પાંચ વાગ્યે નરોડા વિસ્તારમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવે તે પહેલાં મામલો ગરમાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિંધી સમાજના સંતના નામે આ બ્રિજનો ઠરાવ કોર્પોરેશન દ્વારા પસાર કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ દલિત સમાજ દ્વારા સંત રોહિદાસનું નામ આ ઓવરબ્રિજનું નામાકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.પરંતુ નરોડા રેલવે ઓવરબ્રિજનું માત્ર રેલવે ઓવરબ્રિજ જ નામ રાખવામાં આવ્યું છે. તકતી પર કોઈ પણ સંતનું નામ લખેલું નથી.દલિત સમાજની મહિલાઓ દ્વારા બ્રિજનું નામ રાખવા માટેની તકતી રાખવામાં આવી હતી તે કાઢી નાખવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક નવી તકતી બનાવી અને લગાવવામાં આવી છે.
આમ, બ્રિજના ઉદઘાટન અગાઉજ ભારે હોબાળો થતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.