અમદાવાદ માં ડોકટર ફેમલી એ દહેજ મુદ્દે ત્રાસ તેમજ વિચિત્ર સેક્સ તેમજ મારઝૂડ થી કંટાળી ગયેલા ઓર્થોપેડિક સર્જન હિતેન્દ્ર પટેલનાં પત્ની હર્ષાબેને કરેલી આત્મહત્યાની ઘટનામાં અન્ય વધુ એક ખુલાસો થયો છે જેમાં હિતેન્દ્ર નશીલી દવાના ઈન્જેકશન મારી હર્ષાબેન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાની વાતનો ઘટસ્ફોટ હર્ષાબેને આપઘાત કરતા પહેલા લખેલી ચિઠ્ઠીમાં કર્યો હતો. ચિઠ્ઠીમાં હર્ષાબેને નણંદ પણ ત્રાસ આપતી હોવાનો ઉલ્લેખ કર્યો હોવાથી પોલીસે તેમને સહઆરોપી બનાવ્યાં છે.
ઘાટલોડિયામાં આવેલી દેવકુટીર સોસાયટીમાં રહેતા અને સતાધાર સર્વોપરી મોલમાં દેવમ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવનારા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પટેલનાં પત્ની હર્ષાબહેને મંગળવારે રાતે તેમના બંગલાના આંગણામાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આ વાતનો ઘટસ્ફોટ હર્ષાબહેને આત્મહત્યા કરતા પહેલા લખેલી ચિઠ્ઠીમાં કર્યો હતો.
હર્ષાબહેન પાસેથી નોટબુકના 10 પાના ભરીને લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં હર્ષાબહેને લખ્યું હતું કે, હિતેન્દ્ર તેને નશીલી દવા ભરેલા ઈન્જેક્શન મારતો હતો અને ત્યારબાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. જ્યારે તેની નણંદ દીપુ પટેલ પણ હિતેન્દ્ર અને તેના માતા – પિતાને હર્ષાબહેન વિરુદ્ધ ચઢમણી કરતા હતા. પોલીસે આ અંગે દુષ્પ્રેરણા, ઘરેલુ હિંસાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને નશીલા પદાર્થ વાળા ઈન્જેકશન મારવાની 2 કલમો ઉમેરી છે.
હર્ષાબહેને આત્મહત્યા કરી તે રાતથી જ પતિ હિતેન્દ્ર પટેલ માતા – પિતાને લઇને ફરાર થઇ ગયા છે. પોલીસે તેમના ઘરે તેમજ હોસ્પિટલે તપાસ કરી છે, પરંતુ તેમનો કોઇ પત્તો લાગ્યો નથી. જ્યારે હિતેન્દ્રના બહેન દીપુબહેનના ઘરે પણ પોલીસ તપાસ માટે ગઈ હતી, પરંતુ તેમનો કોઇ પત્તો નહીં લાગતા પોલીસે અન્ય સંભવિત સ્થળે તપાસ શરૂ કરી છે.
ઘાટલોડિયાની દેવકુટીર સોસાયટીમાં રહેતા ઓર્થોપેડિક સર્જનની પત્નીએ આંગણામાં જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં ડાબા પગના સાથળ પર પેનથી લખ્યું હતું કે, ‘લગ્નની લાલચ આપીને ઘરમાં રાખીને શારીરિક સંબંધ બાંધી, હિતેન્દ્રે તેની ઇચ્છા પૂરી કરવા મારી સાથે લગ્નનું નાટક કર્યું, ઈચ્છા પૂરી થતાં મને કાઢી મૂકી, મારા મરવાનું કારણ હિતેન્દ્ર.’આ લખાણ તેમજ મહિલાના પિતાની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે સર્જન અને તેનાં માતાપિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. ઓઢવમાં રહેતા નાનજીભાઈ પટેલ ની ફરિયાદ મુજબ, તેમની દીકરી હર્ષા ના લગ્ન મેરેજ બ્યુરોમાં નોંધણીના આધારે ઘાટલોડિયામાં રહેતા અને દેવમ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પટેલ સાથે ગત ઓગસ્ટમાં થયાં હતાં. લગ્ન બાદ સાસુ સુભદ્રાબેન અને સસરા મનુભાઈ હર્ષાને પરેશાન કરી કહેતાં કે ‘અમે અમારી છોકરીને દહેજમાં 25 તોલા સોનું આપ્યું છે, તું માત્ર 5 તોલા જ લાવી છું.’ આ અંગે હર્ષા હિતેન્દ્રને ફરિયાદ કરે તો તે માતા-પિતાનો પક્ષ લઈ હર્ષાને મારઝૂડ કરતો, જેથી કંટાળીને હર્ષાએ આપઘાત કરી લીધો હતો.
લગ્નના 3 માસ બાદ હિતેન્દ્રે હર્ષાના ભાઈ સંજયને ફોન કરીને કહ્યું હતું કે, ‘મારાં માતાપિતાને તારી બેન સાથે મનમેળ નથી, એટલે તેને તમારા ઘરે મોકલું છું, હવે તેને મારા ઘરે મોકલતા નહીં.’ આમ કહીને હિતેન્દ્રે હર્ષાને પિયર મોકલી દીધી હતી. ત્યાર બાદ હર્ષાનાં માતાપિતાએ સમજાવીને મામલો શાંત પાડીને હર્ષાને સાસરીમાં મોકલી હતી જ્યાં ત્રાસ સહન નહિ થતા હર્ષા બેને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે.