અમદાવાદમાં રાત્રે એક વાગ્યાની આસપાસ એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર ગાડીનો અકસ્માત થયો અને આ અકસ્માત જોવા લોકો ટોળે વળ્યાં આજ અરસામાં જેગુઆર કાર આવી જાય છે જે ટોળાને અડફેટે લે છે જેમાં 9 લોકોના મોત થાય છે.
કાર ચાલક તથ્ય પટેલને લોકો મારવા લાગે છે અને તેજ સમયે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ ત્યાં આવી જાય છે અને લોકોના હાથમાંથી તેમના પુત્રને છોડાવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે.
આ અંગે એક રિજનલ ચેનલ સાથેની વાતચીતમાં પ્રજ્ઞેશ પટેલે કહ્યું કે તેઓના પોતાના ભૂતકાળ સાથે પુત્રને કોઈ લેવાદેવા નથી તે સીધો છે અને કારની સ્પીડ 160 ન હતી પણ માંડ 85 થી 90 સુધી હતી.કારમાં ઓવર સ્પીડનું બર્ઝર વાગે એનાથી વધારે સ્પીડમાં એ ક્યારેય ગાડી ચલાવતો જ નથી એટલે 160થી વધારે સ્પીડમાં કાર ચાલતી હતી એ વાત સાવ ખોટી છે.
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, મારો દિકરો સાવ સીધો-સાદો છે. તેણે પોતાની જિંદગીમાં આજ સુધી ક્યારેય પાન-મસાલો કે સીગારેટ-બીડી પણ પીધાં નથી. દારૂ પીવાનો તો સવાલ જ નથી આવતો. તથ્યએ આજ સુધી ક્યારેય કોઈ નશો કર્યો નથી. તથ્યને કોઈપણ જાતનું કોઈ વ્યસન નથી.
કાર ચાલક આરોપી તથ્યના પિતા અને બિલ્ડર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, જે વાતો ફેલાઈ છે તે ખોટી છે.
જ્યારે મને અકસ્માતની જાણ થઈ ત્યારે તરત હું રાત્રે ત્યાં સ્થળ પર દોડી આવ્યો હતો. હું ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે ત્યાં 500 લોકોનું ટોળું હતું. પબ્લિક મારા છોકરાને મારી રહી હતી. તેથી મેં એને છોડાવ્યો. તથ્યને પણ ઈજા પહોંચી હતી. ત્યારે હું પબ્લિક વચ્ચેથી તેને લઈને હોસ્પિટલ લઈ ગયો. મેં કોઈને ગન બતાવી નથી.
બીજી તરફ આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને આડે હાથે લીધા હતા. તેમણે જણાવ્યુ કે, આ કેસને મોસ્ટ સિરીયસ અને મોસ્ટ અરજન્ટ કેસ તરીકે ટ્રીટ કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેને ચલાવવામાં આવશે.