અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના લો ભવનનાં નામકરણ મુદ્દે ગઇકાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતા જિજ્ઞેશ મેવાણી સહિત દલિત કાર્યકરોએ વિજય ચાર રસ્તા પાસે રસ્તા રોકી, કપડાં કાઢી વિરોધ નોંધાવ્યો હતો. જેના માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ર૦ લોકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ૧૬ લોકોને જામીન પર મુકત કર્યા હતા. જ્યારે જિજ્ઞેશ સહિત ચારેયે જામીન ન મેળવતા ગત રાત્રે તેઓને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીમાં લો ભવનને ડૉ.બાબાસાહેબ આંબેડકર લો ભવનનું નામ આપવા અંગે ગઇકાલે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી સહિતના કાર્યકરોએ માગ અને ધરણાં કર્યા હતાં. બાદમાં તમામ કાર્યકરોએ વિજય ચાર રસ્તા પાસે ભેગાં થઇ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દલિત નેતાઓએ રોડ પર કપડાં કાઢી વિરોધ નોંધાવ્યો હતો અને રોડ પર વાહનો રોકી રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું.
ગુજરાત યુનિવર્સિટી પોલીસે વિરોધ કરનાર તમામ નેતા કાર્યકરોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પોલીસે ૧૬ કાર્યકરોને ગત રાત્રે જામીન પર મુક્ત કર્યા હતા. જ્યારે જિજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર, દીક્ષિત અને રાકેશ મહેરિયાએ જામીન લેવા અંગે ઇન્કર કરતાં તેઓને રાત્રે સાબરમતી જેલ ખાતે પોલીસે મોકલી આપ્યા હતા.