અમદાવાદમાં પત્રકાર બની સોશ્યલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપતા આશિષ કણજારિયા વિરુદ્ધ સ્કૂલ સંચાલકો ફરિયાદ નોંધાવી રહ્યા છે ત્યારે આ પ્રકરણ ભારે ગાજયું છે.
મણિનગરની પ્રાઈવેટ સ્કૂલના સંચાલક પાસે 10 લાખ રૂપિયાની ખંડણી માગવા બાબતે ફરિયાદ થયા બાદ તેઓ સામે સામે વધુ ત્રણ સ્કૂલોના સંચાલકોએ ફરિયાદ નોંધાવતા વધુ ફરિયાદો થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
પોલખોલ ટીવી યુટ્યૂબ ચેનલના એડિટર તેમજ વાલીમંડળના પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનું કહી વર્ષ 2017થી અમદાવાદ શહેર તથા અમદાવાદ જિલ્લામાં આવેલી 30થી વધુ સ્કૂલોના ટ્રસ્ટીઓને વ્હોટ્સએપ મારફત પોલખોલ ટીવી યુટ્યૂબ ચેનલના વીડિયો, અગાઉ કરેલી આર.ટી.આઈ. અરજીઓ તથા મેસેજ મોકલી સ્કૂલના ટ્રસ્ટીઓને ધમકાવી સ્કૂલ ચલાવવી હોય તો પૈસા આપો કહી ખંડણી માગવા સાથે જો પૈસા આપવાની ના પાડે બદનામ કરવાની ધમકી આપવાની વાત સામે આવતા સબંધીતોમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદની મણિનગરમાં એડ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના સંચાલક સંજયસિંહ ધરમપાલસિંહે ક્રાઈમ બ્રાન્ચમાં આશિષ કણજારિયા સામે ફરિયાદ નોંધાવ્યા બાદ
ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોકસીએ પણ તેની સામે ફરિયાદ નોંધાવી છે.
મનન ચોકસીને સ્કૂલમાં એડમિશન નહિ આપવા મામલે પોતાની સામે ખોટી અરજી અને આરટીઆઈ કરી હતી તેમજ તમારી સ્કૂલ વિરુદ્ધમાં પુરાવા ઊભા કરીને ફસાવી દઈશ અને જામીન પણ નહીં મળે તેવા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ ઉપરાંત શહેરની અન્ય સંત કબીર સ્કૂલ પાસે પણ આશિષ કણજારિયાએ ખંડણી માંગી હોવાની ફરિયાદ થઈ છે.
ઉપરાંત બોપલ અને સાણંદમાં શ્રીરામ વિદ્યાલય ધરાવતા શશિબહેન ભટ્ટ દ્વારા પણ ફરિયાદ થઈ છે.
તેઓના જણાવ્યા મુજબ 2017માં આશિષ તેમને મળવા ગયો હતો અને પોતે વાલીમંડળનો પ્રમુખ, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પોલખોલ યુટ્યૂબ ચેનલના તંત્રી હોવાની ઓળખાણ આપી સ્કૂલની કેટલીક માહિતી માગી હતી. જે નહીં આપતાં સ્કૂલમાં આંદોલનની ધમકી આપી વાર્ષિક રૂ.50 હજાર આપી દેવાની માગણી કરી હતી. આમ,અત્યારસુધીમાં આશિષ સામે કુલ ચાર ફરિયાદ નોંધાઈ છે.