પત્રકાર જગત માં વધુ એક પીઢ કટાર લેખક અને પદ્મશ્રી એવા આદરણીય નગીનદાસ સંઘવીનું આજે 100 માં વરસ ની જૈફ વયે અવસાન થયું છે.
આજે રવિવારે સવારે 11.30 કલાકે શ્વાસ લેવામાં તકલીફ જણાતાં તેઓ ને મહિધરપુરા વિસ્તારમાં આવેલી બુરહાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં 3.30 કલાકે તેઓ એ અંતિમ શ્વાસ લીધા હતા.ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2020માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ વર્ષ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હતું.
મુખ્યમંત્રી રૂપાણીએ વરિષ્ઠ કટાર લેખક સમીક્ષક અને વિશ્લેષક તથા વિવેચક પદ્મશ્રી નગીનદાસ સંઘવીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ પાઠવેલા શોક સંદેશમાં સદગત નગીનદાસ સંઘવીને એક સચોટ અને પ્રખર વિવેચક સમીક્ષક ગણાવતા કહ્યું છે કે સમાજજીવન અને દેશ દુનિયાની સાંપ્રત સમસ્યાઓ અને સ્થિતિનું નીરક્ષીર વિવેક સાથે નિરૂપણ કરવાની તેમની સહજ લેખનીએ લાખો વાચકોના દિલમાં અમિટછબિ ઊભી કરી છે,તેમના નિધનથી ગુજરાતના સાહિત્યિક અને પત્રકારિતા જગતને ના પુરાય એવી ખોટ પડી છે, એમ જણાવતાં મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થનાઆત્માની પરમ શાંતિ ની પ્રાર્થના કરી છે. કોંગ્રેસ દ્વારા પણ સદગત ને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા.
નગીનદાસ સંઘવીનાં નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં ખજાનચી અને રાજ્યસભા સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે શતાયુ સ્વ.નગીનદાસ સંઘવી પોલિટિકલ સાયન્સનાં પ્રાધ્યાપક તરીકે ઉત્તમ કામગીરી સાથે ઉત્તમ કોટિના લેખન સાથે જોડાયેલા હતાં. વિવિધ વિષયો પર તેમનું લખાણ અપ્રિતમ હતું.જુદાં જુદાં વિષયો રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય બાબતને સુંદર શબ્દોમાં તથ્યો આધારિત રજૂ કરવાની તેમની આગવી ઓળખ હતી. સ્વ.નગીનદાસ સંઘવી નવી પેઢીનાં પત્રકારો માટે યુનિવર્સિટી સમાન હતા.
શતાયુ સ્વ. નગીનદાસ સંઘવીનાં નિધનથી દેશે એક ઉત્તમ ગજાના કટાર લેખક ગુમાવ્યા છે. કોંગ્રેસ પક્ષ તેમને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
Tuesday, May 14