અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રૂ.પ૦૦ અને ૧,૦૦૦ નોટ રદ કરવાના નિર્ણય બાદ લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટીએમ અને બેન્કમાં લાંબી લાઇનો જોવા મળી રહી છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આજે સવારે આશ્રમ રોડ પર આવેલી આરબીઆઇ બેન્ક બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરનારા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
એકાએક નરેન્દ્ર મોદી દ્વારા રૂ.પ૦૦ અને ૧,૦૦૦ નોટ રદ કરાતાં લોકો બેન્કોમાં પોતાની જૂની રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની નોટો બદલાવવા દોટ મૂકી હતી. લોકોએ પોતાનાં કામકાજ છોડી સવારથી બેન્ક અને એટીએમમાં લાઇનમાં ઊભા રહેવું પડયું છે. સામાન્ય પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોઇ શહેર કોંગ્રેસ દ્વારા આજે આરબીઆઇ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વગર પરમિશનેે વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. તમામ કાર્યકરોને અટકાયત બાદ વાડજ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા.