શહેરમાં એક તરફ કોરોના મહામારી ફરી ઉગ્ર બની છે. ત્યારે હવે હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના પોઝીટીવ દર્દીની મુકાલાત લેવા આવતા ખાનગી ડોક્ટરોનું પેકેજ નક્કી થયું છે. એટલે કે જો કોવિડ દર્દી સારવાર માટે ખાનગી હોસ્પિટલના ડોક્ટરને ઘરે બોલાવશે તો એક દર્દી દીઠ સાતથી 8 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે. AMC અને AHNA (અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન)એ કરેલા કરાર અનુસાર 50 હોસ્પિટલના તબીબોને ઓન કોલ બોલાવવા પર ચાર્જ ચૂકવવા પડશે. જોકે સરકારની 104ની વિનામૂલ્યે ઘરે બેઠા સારવારની સર્વિસ ચાલુ જ રહેશે. એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 481 નવા કેસ અને 356 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,336 પર પહોંચ્યો છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 67,377 થયો છે. જ્યારે 63,424 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પુષ્કર હોમ્સ, નાના ચિલોડા, સરદારનગરમાં 20 મકાનોના 75 લોકો, આરોહી ઈલિસિયમ બોપલના 4 મકાના 16 લોકો, રોઝવુડ એસ્ટેટ જોધપુરના 16 મકાનના 56 લોકો, મોહજગત સોસાયટી વટવાના 7 મકાનના 28 લોકો, શ્રીરામ સોસાયટી ઘોડાસરના 9 મકાનના 38 લોકો, ઘોડાસરની રાણા સોસાયટીના 15 મકાનના 65 લોકો, ધર્મદેવનગર સોસાયટીના 12 મકાનના 65 લકો, જશોદાપાર્ક સોસાયટીના 10 મકાનના 51 લોકો તથા આનંદ સોસાયટી ભાડૂયાતનગરના 8 મકાનના 41 લોકો સામેલ છે.
Sunday, May 19