નવી ‘વંદે ભારત એક્સપ્રેસ’એ ટ્રાયલ રન દરમિયાન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડીને બુલેટ ટ્રેનનો રેકોર્ડ પણ તોડ્યો હતો. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે આ જાણકારી આપી. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે ફોટોકેટાલિટીક એર પ્યુરિફાયર સિસ્ટમ નવી ‘વંદે ભારત ટ્રેન’ને કોરોના સહિત તમામ વાયુજન્ય રોગોથી મુક્ત રાખશે. તમને જણાવી દઈએ કે ભારતની આ સેમી-હાઈ સ્પીડ ટ્રેન આગામી થોડા અઠવાડિયામાં અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડવા માટે તૈયાર છે.
શુક્રવારે દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પ્રથમ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન થયું હતું. આ ટ્રાયલ રનમાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનું 491 કિમીનું અંતર 5.14 કલાકમાં જ્યારે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર 5.04 કલાકમાં કાપવામાં આવ્યું હતું. ટ્રેન કાલુપુર સ્ટેશનથી સવારે 7.05 વાગ્યે નીકળી હતી અને બપોરે 12.19 વાગ્યે મુંબઈ પહોંચી હતી. બપોરે 1.08 વાગ્યે મુંબઈથી નીકળી અને 6.12 વાગ્યે કાલુપુર પહોંચી. ટ્રાયલ રનના પરિણામોની જાહેરાત કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “વંદે ભારત ટ્રેનની ત્રીજી ટ્રાયલ રન ગુરુવારે પૂર્ણ થઈ ગઈ છે. વંદે ભારત ટ્રેન માત્ર 52 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે જ્યારે બુલેટ ટ્રેન આ સ્પીડ સુધી પહોંચવામાં 54.6 સેકન્ડ લે છે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 180 kmph છે. જૂના વંદે ભારતની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાક છે.
તેજસ ટ્રેન કરતા ઓછા ભાડાની ચર્ચા 7 સપ્ટેમ્બરે ટ્રાયલ થવાની હતી
વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન, જે છેલ્લીવાર 7 સપ્ટેમ્બરના રોજ થવાની હતી, તે મુલતવી રાખ્યાના માત્ર બે દિવસ પછી શુક્રવાર, 9 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ ટ્રેનની ટ્રાયલ રન 130ની સ્પીડથી કરવામાં આવી હતી. ઉપરાંત, ટ્રાયલ રનમાં, ટ્રેને 5 થી 5.15 કલાકમાં 491 કિમીની મુસાફરી પૂર્ણ કરી હતી. રેલવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ટ્રેન સંભવતઃ નવરાત્રિથી દોડશે. તેમજ વંદે ભારત ટ્રેનનું ભાડું તેજસ ટ્રેન કરતા ઓછું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
અઠવાડિયામાં 6 દિવસ ચાલે તેવી શક્યતા છે
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેમાં ટ્રેન ક્યાં થોભવાની છે અને કયા સમયે દોડવાની છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ સપ્તાહમાં છ દિવસ વંદે ભારત ટ્રેન દોડાવવાની યોજના છે. આ ટ્રેન અમદાવાદથી સવારે 6.05 વાગ્યે ઉપડશે અને બપોરે 1.30 વાગ્યે મુંબઈ પહોંચશે. મુંબઈ સેન્ટ્રલથી પરત ફરતી વખતે તે બપોરે 2.40 વાગ્યે ઉપડશે અને રાત્રે 9.05 વાગ્યે અમદાવાદ પહોંચશે.
સુરત-વડોદરાને સ્ટોપ મળવાની શક્યતા
વંદે ભારત ટ્રેન સંભવતઃ 18 કોચ સાથે દોડશે. ટ્રેનને વડોદરા અને સુરત સ્ટેશન પર કોમર્શિયલ હોલ્ટ આપવામાં આવે તેવી પણ શક્યતા છે. કારણ કે, અમદાવાદ બાદ વડોદરા અને સુરતમાં મુસાફરોની સંખ્યા સૌથી વધુ છે. તેથી આ બંને સ્ટેશનો પર ટ્રેન ઉભી રહે તેવી પ્રબળ શક્યતા છે.
વંદે ભારતમાં નવી એસી સિસ્ટમ
ફોટોકેટાલિટીક એર પ્યુરીફાયર સિસ્ટમ નવી ‘વંદે ભારત ટ્રેન’ને કોરોના સહિત તમામ વાયુજન્ય રોગોથી મુક્ત રાખશે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ રેલ્વે મંત્રાલય આ ટ્રેનમાં એન્ટી વાયરસ સિસ્ટમ લગાવવા જઈ રહ્યું છે. તેની સફળતા પછી, આ યોજના પ્રીમિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો સહિત તમામ 400 વંદે ભારત ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે.