મસમોટા ખર્ચના કારણે હર કોઈ વ્યક્તિ હોસ્પિટલ કે કોર્ટના પગથિયા ચડવા ઈચ્છતુ નથી અને આજના આ સમયમાં તો હોસ્પિટલો દર્દીઓના ખિસ્સા હળવા કરવાના જ કામ કરતી હોય છે. તેવામાં અમદાવાદમાં આવેલી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ ખરા અર્થમાં દર્દીઓની સેવાનો ભેખ ધારણ કરેલી છે. જ્યાં બાળદર્દીઓને હાર્ટસર્જરી સહિતની સુવિધાઓ વિનામુલ્યે પૂરી પાડે છે અને આ હોસ્પિટલમાં ખાસ બિહારથી 21 બાળકોને લાવીને સારવાર શરૂ થઈ છે. આજે દવાના મસમોટા મોંઘા બિલ દર્દીઓના પરિવારની આર્થિક કમર તોડી રહ્યા છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 21 વર્ષ અને અમદાવાદમાં છેલ્લા બે વર્ષથી દિલ વિધાઉટ બિલના નામે શ્રી સત્યસાંઈ હોસ્પિટલ અનોખી મિસાલ છે. આ હોસ્પિટલમાં જન્મજાત બિમારી તેમજ ત્રણ કિલોથી 40 કિલો વજન ધરાવતા બાળકોની મફત સારવાર કરવામાં આવે છે.
ભારતમાં દર વર્ષે 2 લાખ બાળકો હૃદયની બિમારી સાથે જન્મે છે અને અત્યંત ખર્ચાળ સારવારના કારણે માત્ર 30 હજાર બાળકોનો જ ઈલાજ શક્ય બને છે. ત્યારે ગરીબ બાળદર્દીઓના કસમયે મોત અટકાવવાના નેક સંકલ્પ સાથે 20 નવેમ્બર 2016ના દિવસે કાસિન્દ્રા ખાતે હોસ્પિટલ શરૂ થઈ અને આ હોસ્પિટલે બિહાર સરકાર સાથે એમઓયુ સાઈન કર્યા. બિહારના જરૂરિયાત મંદ ગરીબ બાળકોને ઓપરેશન સહિતની સારવાર કરી બિહાર મોકલી શકાય.હૃદય સંબંધિત બિમાર ધરાવતા બિહારથી 21 બાળકોને તેમના માતાપિતા સાથે વિમાન દ્વારા ગુજરાતમાં લાવવામાં આવ્યા.એરપોર્ટ પર હોસ્પિટલ સ્ટાફ દ્વારા સ્વાગત કરાયુ અને યોગ્ય વ્યવસ્થા સાથે હોસ્પિટલ ખસેડાયા. હવે તેઓ નિષ્ણાંત તબીબોના માર્ગદર્શન હેઠળ અધ્યતન સુવિધા સાથેની સારવાર લઈ રહ્યા છે.