ગુજરાતમાં શિયર ઝોન થયું સક્રિય : ગુજરાત માથે આકાશી આફત :: સાવચેતી જ આપણી સલામતીની છત્રી
ગુજરાત પર આકાશી આફતનો કહેર વર્તી રહ્યો છે આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાત પર તેની ભારે અસર રહેવાની છે.હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 29 અને 30 તારીખના રોજ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. કારણકે ગુલાબ વાવાઝોડાને કારણે રાજ્યમાં શિયર ઝોન સક્રિય થયું છે.આ શિયર ઝોન મોટી તબાહી પણ સર્જી શકે છે.
અત્યારે સમગ્ર ગુજરાતમાં સામાન્યથી લઈને ભારે વરસાદ વરસી ગયો છે.ગુજરાતના મોટાભાગના તાલુકા અને જિલ્લા વરસાદથી પ્રભાવિત છે અમદાવાદના સરખેજમાં નાળામાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થઇ ગયું છે.ત્યારે તમામ પ્રજાએ સાવચેત રહેવાની જરૂર છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યમાં અત્યારે મૂશળધાર વરસાદ વરસીરહ્યો છે. આજે બપોરના 12 વાગ્યા સુધીમાં કુલ 80 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. જેમા સૌથી વધારે મહેસાણમાં 3.5 ઈંચ, બેચરાજીમાં 2.5 ઈંચ, કડીમાં 2.5, પોશીનામાં 2.5, વિસનગરમાં 2, ખેરાલુમાં 2, લખતરામાં 2 , હળવદમાં 1.5 ઈંચ અને રાજુલા તેમજ વિરમ ગામમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ પડ્યો જેના કારણે સરખેજના વણઝરવાસ પાસે આવેલ ગરનાળામાં એક યુવક ગરકાવ થતા તેનું મોત નિપજ્યું છે. ભારે વરસાદને કારણે શહેરના મોટા ભાગના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. જે યુવક અંડરપાસમાં મૃત્યુ પામ્યો હતો. તેના મૃતદેહને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં જે ગુલાબ વાવાઝોડું ટકરાયું છે તેની અસર ગુજરાતના દરિયા કિનારે પણ જોવા મળશે. ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેમા ગુજરાતને ક્રોસ કર્યા બાદ ગુલાબ વાવાઝોડું ફરી થશે.જેના કારણે રાજ્યમાં 29-30 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે, તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે.આ વરસાદ તબાહી પણ લાવી શકે એમ છે ઘણા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ છે.ત્યારે વાહન ચાલકોએ સાવચેતી રાખવી ખૂબ અનીર્વાર્ય છે.આ સંજોગોમા પોતાના વિસ્તારના રોડ અને રસ્તાની જાણકારી મેળવ્યા પછી જ એકલા કે પરિવાર સાથે ઘરની બહાર નીકળવું હિતાવહ રહેશે.
મળતી માહિતી મુજબ ગુલાબ વાવાઝોડું હાલ ઓડિશા અને આંધ્રપ્રદેશ બાદ તેલંગાણામાં હાહાકાર મચાવાનું છે. જેથી ત્યા તંત્ર દ્વારા પૂરને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેલંગાણાના ઘણા વિસ્તારોમાં પૂર આવી શકે છે. સાથેજ અહીયા ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.આ સંજોગોમાં સાવચેતી જ આપણી સલામતીની છત્રી બની શકે છે.