લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક માટેના ગણિત મંડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસે ધીમે-ધીમે પત્તા ખોલવાના શરૂ કરી દીધા છે. ખાસ કરીને દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણી અને આદિવાસી નેતા છોટુભાઈ વસાવાને લઈ ચાલી રહેલા સસ્પેન્સ અંગે કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હોવાની જાણકારી મળી રહી છે.
કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે ભરુચના આદિવાસી નેતા છોટું વસાવા સાથે કોંગ્રેસ હાથ મિલાવ્યા હતા. છોટુ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને વોટ આપતા અહેમદ પટેલ પોઈન્ટ સિસ્ટમ પ્રમાણે ખૂજ નાજૂક રીતે વિજેતા થયા હતા. છોટુ વસાવાના વોટના કારણે અહેમદ પટેલની જીત થઈ હતી. તે વખતે પણ ચર્ચા ચાલી હતી કે લોકસભાની ભરુચ બેઠક પર આ વખતે કોંગ્રેસનો ઉમેદવાર નહીં હોય અને છોટુ વસાવા માટે કોંગ્રેસ ભરુચ બેઠક ખાલી કરશે. કોંગ્રેસે ભરુચ બેઠક પર ઉમેદવાર ઉભો નહીં રાખવાની વ્યૂહરચના ઘડી કાઢી છે.
વડગામમાં કોંગ્રેસના ટેકાથી અપક્ષ ધારાસભ્ય બનેલા દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણી માટે કચ્છ લોકસભા બેઠકને કોંગ્રેસ ખાલી કરશે. કચ્છ લોકસભા બેઠક પરથી જિજ્ઞેશ મેવાણીની લડવાની શક્યતાઓ પ્રબળ બની ગઈ છે. જિજ્ઞેશ મેવાણીએ તાજેતરમાં મમતા બેનરજીની સભામાં હાજરી આપી રાષ્ટ્રીય સ્તરે પોતાના કદને વિસ્તારીત કરી દીધું છે. રાષ્ટ્રીય રાજકારણને જિજ્ઞેશ મેવાણી લોકસભાની ચૂંટણીથી ગજવશે એવા સંકેત મળી રહ્યા છે.