PM નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદને નવી ભેટ સોગાદ અટલ બ્રિજ સ્વરુપે આપશે. ત્યારે ખૂદ વડાપ્રધાને પણ સોશીયલ મીડિયા પર બ્રિજની તસવીરો શેર કરી છે. વડાપ્રધાને ફોટો ઉપરાંત બ્રિજનો વીડિયો પણ તેમના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યો હતો. આજથી બે દિવસના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 74 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફૂટ બ્રિજનું લોકાર્પણ કરશે.
આ બ્રિજનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે. એલઈડી લાઈટ્સથી શણગારેલા આ બ્રિજની ડિઝાઈનના ફોટો તેમણે તેમના ટ્વીટર એકાઉન્ટમાં શેર કર્યા હતા. ત્યારે આ નજરાણું આજથી અમદાવાદની એક ઓળખ બનશે.
અટલ બ્રિજની આ છે વિશેષતાઓ
1) બ્રીજની કુલ લંબાઈ ૩૦૦ મીટર છે જ્યારે વચ્ચેનો સ્પાન ૧૦૦ મીટર છે.
2) બ્રીજના છેડેના ભાગે પહોળાઈ ૧૦ મીટર તેમજ બ્રીજના વચ્ચેના ભાગે પહોળાઈ ૧૪ મીટર છે.
3) સાબરમતી નદીના લોઅર તથા અપર પ્રોમીનાડ (ફુટપાથ) ઉપરથી બંને બાજુએથી (પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રીજમાં પ્રવેશ કરી શકાશે.
4) ૨૬૦૦ મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત આઈકોનિક બ્રીજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપે છે.
5) બ્રીજના વચ્ચેના ભાગે વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે.
6) વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
7) ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રીજને આગવો લૂક પ્રદાન કરે છે.