Gujarat: પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાનમાં આજે જંગી સભાને સંબોધન કરે તે પહેલા રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ વિશે કરેલ કથિત નિવેદનના વિરોધમાં પાટણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ટી.બી. ત્રણ રસ્તા પાસે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેથી પોલીસે 12 થી વધુ લોકોની અટકાયત કરી હતી.
પાટણના પ્રગતિ મેદાનમાં જંગી જાહેર સભા પહેલા ક્ષત્રિય સમાજના લોકોએ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો, યુવાનો રોડની વચ્ચોવચ્ચ કાળા વાવટા લઈ ઉતરી જતાં પોલીસ દ્વારા 12 થી વધુ લોકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં, રાજા-મહારાજાઓના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે.
પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાનમાં જંગી સભાને સંબોધન કરવાના હોવાથી કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તો બીજી તરફ રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ વિશે કરેલા કથ્થિત નિવેદનના વિરોધમાં પાટણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ટી.બી. ત્રણ રસ્તા નજીક કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક જનસભાને સંબોધતા રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજા-મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઈચ્છતા તે કરી શકતા હતા, કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તે લઈ લેતા હતાં, આ નિવેદન પર ક્ષત્રિય સમાજમાં ભારે રોષે છે.
રાહુલ ગાંધીના નિવેદન પર પદ્મિનીબા વાળાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે,
રાહુલ ગાંધીએ તેમના શબ્દો પાછા ખેંચવા જોઈએ રાહુલ ગાંધીએ સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઈએ. કોઈપણ વ્યક્તિ ક્ષત્રિય સમાજ વિશે બોલી જાય છે, તે ક્ષત્રિય સમાજને સમજે છે શું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલ ટિપ્પણી પર હવે ભાવનગરના યુવરાજ જયવીરસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે.
તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેમના જ દાદી કાયદો લઈને આવ્યા હતાં જેનાકારણે હજારો-લાખો રાજપૂતોની જમીન જતી રહી હતી. તેમનો શું વાંક હતો?
એક તરફ રૂપાલા સામે ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે, તો હવે રાહુલ ગાંધી સામે પણ વિરોધ કરાતા ક્ષત્રિય સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો બીજી તરફ રાજકારણ પણ વધુ ગરમાયું છે.