ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ ની ઉજ્વળ ભવિષ્ય માટે અનેક કોલેજો ને સરકારી ગ્રાન્ટ આપવામાં આવે છે જેથી કરીને અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકે પરંતુ અમદાવાદ ના ખેડા પાસે આવેલી ડી.એ.પોલીટેક્નિક કોલેજ આ પ્રકાર ની સરકારી લાભો નો કથિત રીતે ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવતા ભારે ચકચાર મચી છે અને આ આખા કૌભાંડ માં કોલેજ ના ટ્રસ્ટી થી લઈ આચાર્ય સુધીની લોબી શંકા ના ઘેરા માં આવી ગઈ છે.
આખા ખેલ માં સરકારી ગ્રાન્ટ મેળવી લઈ ને વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે અને સરકાર સાથે પણ ચેડાં કર્યા હોવાની વાત સામે આવતા હવે આ પ્રકરણમાં અવળ શુ તપાસ કરવામાં આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.
વિગતો મુજબ ડી.એ. ડિપ્લોમા અને એન્જીનયરિંગ કોલેજ ના ટ્રસ્ટી દ્વારા સરકારી ગ્રાંન્ટ મેળવવા માટે 79 વિદ્યાર્થીઓ નું લિસ્ટ આદિજાતિ વિકાસની ઓફીસ બિરસામુંડા ભવન ગાંધીનગર ખાતે મોકલી અપાયું હતું.
આ બને વિભાગ દ્વારા અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓને ડિપ્લોમા તથા અન્ય શૈક્ષણિક શિષ્યવૃતિ પ્રતિવર્ષ મંજુર કરી આપવામાં આવે છે.જે દરમ્યાન ડી.એ.ડિપ્લોમા એન્જીનયરિંગ એન્ડ ટેકનોલોજી માં હોસ્ટેલ માં રહેતા વિદ્યાર્થીઓ ની કુલ માન્ય સંખ્યા 79 સામે માત્ર 5 આદિજાતિ ના વિદ્યાર્થીઓ હાજર જોવા મળ્યા હતા અને આ 5 વિદ્યાર્થીઓ ના નિવેદન મુજબ કુલ 8 આદિજાતિના વિદ્યાર્થીઓ જ છાત્રાલય માં રહે છે એટલે કે બાકી ના 71 વિદ્યાર્થીઓ ભૂતિયા હોવાની વાત ચોંકાવનારી છે કારણકે બાકીના 71 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય તેના કોઈજ પુરાવા મળી આવેલ નથી.હોસ્ટેલ ના હાજરી પત્રકમાં દર્શાવેલ વિદ્યાર્થીઓને ટેલિફોનિક રીતે પૂછતાં તેઓ ફક્ત કોલેજ માં પરીક્ષા ના સમયગાળા દરમ્યાન જ આવે છે.
ભારત સરકાર દ્વારા અપાયેલ ગાઈડલાઈન ની જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓ બિનપરવાનગીએ ગેરહાજર હોવા છતાં તેમજ તેમની સંતોષકારક પ્રગતિ ન હોવા છતાં કોલેજ ના આચાર્ય અને ટ્રસ્ટી એ શિષ્યવૃતિ મંજુર કરનાર અધિકારીને જાણ કરવાની તસ્દી લીધી ન હતી.તેથી જે 71 વિદ્યાર્થીઓ ની શિષ્યવૃતિ તથા ફૂડબીલ ના નાણાં રિકવર કરી સરકારમાં જમા કરાવવા અંગેની નોટિસ આપવામાં આવી હોવાની પણ વાત સામે આવી છે, જોકે, સરકારી રૂપિયા ના દુરુપયોગ બાદ કોલેજ ના ટ્રસ્ટી નું પેટનું પાણી હલતું નથી અને સવાલ એ ઉભા થવા પામ્યા છે કે સરકારી ગ્રાન્ટ સાથે રમત રમી હોવા છતાં સરકાર દ્વારા કોલેજ ના આચાર્ય અને ટ્રસ્ટી ઉપર હજુ સુધી કેમ કોઈ જ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવી નથી અને કોલેજ ની માન્યતા કયાં કારણોસર રદ કરવામાં આવતી નથી.
ઉપરોક્ત બાબત ની ખરાઈ કરવા સત્ય ડે ના ચીફ રિપોર્ટર દ્વારા કોલેજ ના ટ્રસ્ટી ધારિણીબેન શુકલા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તો તેમણે જણાવેલ કે કોલેજ ના આચાર્ય જોડે વાત કરી લો અને આ બાબતે હવે મને ફોન નહીં કરવાનો તેવું જણાવી દેતા તેઓ પોતાની જવાબદારી માંથી છટકી ગયા હોય તેવું જણાય રહ્યું છે ત્યારે હવે આ પ્રકરણમાં જો તપાસ કરવામાં આવે તો લાંબુ કોકડું બહાર આવવાની અને છેલ્લા કેટલા સમય થી આવું ચાલી રહ્યું છે તે સહિત ઉપર સંબંધિત વિભાગ માં બેઠેલા અધિકારીઓ ની સીધી કે આડકતરી કોઈ સંડોવણી છે કે કેમ ? તે અંગે અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે આ મામલે તરતજ તપાસ થાય તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જઈ શકે છે અને અત્યાર સુધી સરકાર ને કેટલો ચુનો લાગ્યો તે માહિતી બહાર આવી શકે તેમ છે.