અમદાવાદ CAAના વિરોધમાંથયેલ હિંસા બાબતે ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ હાથમાં લીધા બાદ કાર્યવાહી ચાલુ છે. શાહઆલમની હિંસાના મામલામાં હજુ સુધી ૬૪ની ધરપકડ આવી છે. નાગરિક સુધારા કાનુનને લઈને અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં ભડકેલી હિંસાના મામલામાં ઉંડી તપાસનો દોર જારી રહ્યો છે. ધરપકડનો દોર યથાવત રીતે આગળ વધી રહ્યો છે. ક્રાઇમ બ્રાંચે આ મામલામાં તપાસ શોપવામાં આવ્યા બાદથી કઠોર કાર્યવાહી શરુ કરી છે. આના ભાગરૂપે આજે છ મહિલા સહિત વધુ ૧૫ની ધરપકડ કરી લેવામાં આવી છે.
આની સાથે જ શાહઆલમ હિંસા મામલામાં કુલ ૬૪ની ધરપકડ થી છે. ઝડપાયેલા લોકોની ઓળખ પણ કરી લેવામાં આવી છે. ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે ત્યારે પુછપરછના આધારે નવી વિગત પણ ખુલી શકે છે. પહેલા ઝડપાયેલા ૧૩ લોકોને રિમાન્ડ પર લેવામાં આવી ચુક્યા છે. દરમિયાન શાહઆલમ વિસ્તારમાં જનજીવનને રાબેત મુજબ બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ની ટુકડી સતત પેટ્રોલિંગ અને તપાસ કરી રહી છે. શહેરના શાહઆલમ વિસ્તારમાં સીએએના વિરોધના ઓઠા હેઠળ પોલીસને ટાર્ગેટ કરી કાશ્મીરી સ્ટાઇલથી પથ્થરમારો કરી ૨૧થી વધુ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓને ઇજા પહોંચાડવાના ચકચારભર્યા પ્રકરણમાં શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા હાથ ધરાઇ રહેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
સીએએના વિરોધને લઇ બંધના દિવસ પહેલાં જ મહેબૂબખાન અને શરીફખાન બિલ્ડર્સના નામથી વોટ્સએપ ગ્રુપ બનાવાયા હતા અને હિંસાનું પૂર્વઆયોજિત કાવતરું રચાયું હતુ. વોટસએપ ગ્રુપ મારફતે ઉશ્કેરણીજનક મેસેજ અને વીડિયો વાયરલ કરી લઘુમતીસમાજના લોકોને ભડકાવાયા હતા અને સમાજમાં કૌમી વૈમનસ્ય, વર્ગવિગ્રહ અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારે હિંસા-તોફાનનું વાતાવરણ ઉભુ કરવાનું કાવતરૂ રચવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં ક્રાઇમબ્રાંચે વધુ ૧૫ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરાયેલા આ વધુ પંદર આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. આ સાથે જ શાહઆલમ હિંસા પ્રકરણમાં અત્યારસુધી ધરપકડ કરાયેલા કુલ આરોપીઓનો આંક ૬૪થી વધુનો થયો છે.