Ahmedabad plane crash : દુર્ઘટનાથી ચાર અઠવાડિયા પહેલા જ મળ્યું હતું એલર્ટ
Ahmedabad plane crash : અમદાવાદ પ્લેન ક્રેશને લઈને સામે આવેલા પ્રારંભિક તપાસ અહેવાલમાં ગંભીર ખુલાસા થયા છે. દુર્ઘટના થવાની પહેલા ચાર અઠવાડિયા અગાઉ, બ્રિટનની Civil Aviation Authority (CAA) એ મહત્વપૂર્ણ સુરક્ષા ચેતવણી જારી કરી હતી. તેમણે બોઈંગના વિવિધ મોડલ્સમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચથી સંકળાયેલ સંભવિત ખામી અંગે જણાવ્યું હતું, જેમાં બોઈંગ 787 ડ્રીમલાઈનર પણ સામેલ હતુ – અચૂક એવું જ વિમાન જેમાં અમદાવાદમાં દુર્ઘટના થઈ.
CAAનું એલર્ટ અને નિર્દેશો
CAA દ્વારા 15 મે, 2025ના રોજ બહાર પાડવામાં આવેલા એલર્ટ મુજબ, બોઈંગના 737, 757, 767, 777 અને 787 મોડલ્સમાં ફ્યુલ શટઑફ વૉલ્વ એક્ટુએટરની કામગીરીમાં ખામી જણાઈ રહી હતી. તેમને તમામ એરલાઈન્સ ઓપરેટરોને FAAના એરવર્ધીનેસ ડાયરેક્ટિવ (AD) ના અનુસંધાનમાં જરૂરી ટેસ્ટિંગ અને ફેરફારની ભલામણ કરી હતી.
એર ઈન્ડિયાની અવગણના સામે આવી
આ ચેતવણી હોવા છતાં એર ઈન્ડિયાએ કોઈ તપાસ કે કાર્યવાહી કરી ન હતી. એરલાઈન્સના કહેવા મુજબ, FAA દ્વારા વર્ષ 2018માં જારી કરવામાં આવેલ SAIB (Special Airworthiness Information Bulletin) માત્ર સલાહરૂપ હતી, ફરજિયાત નહોતી. તેથી તેમણે ફ્યુલ સ્વિચની તપાસ કરવાની જરૂર જણાવી નહીં.
તપાસ રિપોર્ટ શું કહે છે?
પ્રારંભિક રિપોર્ટ અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત VT-ANB વિમાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચ સંકળાયેલી કોઈ સ્પષ્ટ ખામી નોંધાઈ ન હતી. જોકે હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે – જ્યારે આવા ખુલ્લા ઈશારા અને ચેતવણી ઉપલબ્ધ હતાં, ત્યારે એર ઈન્ડિયા અને સંબંધિત તંત્રોએ તેમને ગંભીરતાપૂર્વક લીધા કેમ નહીં?
સલાહ હોય કે ફરજ, સુરક્ષા તો પ્રથમ
ભલે ચેતવણી ફરજિયાત ન હોય, પણ જ્યારે વાત મુસાફરોની સલામતીની હોય, ત્યારે કોઈ પણ ખતરા તરફ ગંભીરતાથી જોવુ જરૂરી છે. એર ઈન્ડિયાની આ અભિગમ પર હવે પ્રશ્નચિહ્ન ઊભું થઈ ચૂક્યું છે અને સંબંધિત તંત્રો પર જવાબદારી નિર્ધારણની માંગ ઉઠી રહી છે.