Air India plane crash: કમ્પાઉન્ડ વોઇસ રેકોર્ડિંગમાં કો-પાઇલટનો આશ્ચર્યભર્યો પ્રશ્ન: ‘સ્વિચ કેમ બંધ કરી ?’
Air India plane crash: 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયા ફ્લાઇટ AI-171 ટેક-ઓફ થયા બાદ માત્ર 32 સેકન્ડમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. હવે અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ફ્લાઇટના કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાંથી ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
WSJના જણાવ્યા મુજબ કેપ્ટન સુમિત સભરવાલે ‘ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ’ બંધ કરી દીધી હતી..તેમના સાથી કો-પાઇલટ ક્લાઇવ કુંદરે એ જ સમયે ચિંતિત અવાજે પૂછ્યું, “તમે ફ્યૂઅલ સ્વિચ કટ ઑફ પોઝિશન પર કેમ રાખી?” – તે પણ ત્યારે જ્યારે પ્લેન ઉડી રહ્યું હતું. કેપ્ટન, પોતે ખૂબ શાંત હતા, જ્યારે કો-પાઇલટ ઘભરાયેલ દેખાતા હતા.
15,638 કલાકનો અનુભવ હોવા છતાં ભારે ભૂલ?
કેપ્ટન સુમિત સભરવાલ પાસે 15 હજારથી વધુ કલાકનો ઉડાન અનુભવ છે. જ્યારે કો-પાઇલટ પાસે 3,403 કલાકનો અનુભવ હતો. છતાંય આ પ્રકારની વિમાની ભૂલ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
WSJએ તપાસ સાથે સંકળાયેલા અમેરિકન સૂત્રોના હવાલાથી આ દાવો કર્યો છે. ભારતીય તંત્ર અથવા DGCA તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નિષ્ણાતો અનુસાર, “વિદેશી મીડિયા પાસે વધુ વિગતો હોવી ચિંતાજનક છે અને ભારતની તપાસની પારદર્શિતા પર સવાલો ઊભા થાય છે.”
AIR INDIAએ કહ્યું: સ્વિચમાં કોઈ ખામી નથી
એર ઇન્ડિયાએ તમામ Boeing 787 વિમાનોની ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ અને થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM)ની તપાસ પૂરી કરી લીધી છે અને કોઈ ખામી ન હોવાનું જણાવ્યું છે. તમામ વિમાનોમાં જરૂરી ફેરફારો પણ કર્યા છે. DGCA દ્વારા તમામ એરલાઇન્સને 21 જુલાઈ સુધી આવી ચકાસણી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
પાઇલટ સંગઠનનો વાંધો: પાઇલટ્સની છબી બગાડવાનો પ્રયાસ
Federation of Indian Pilots (FIP) એ માગ કરી છે કે, “અધૂરી માહિતી આધારે પાઇલટ્સને દોષી ઠેરવવા ખોટી અને એકતરફી કાર્યવાહી છે.” તેમનું કહેવું છે કે તપાસમાં પાઇલટ સંગઠનને સામેલ કરવામાં આવ્યું નથી અને માત્ર ખાસ એવા વોઇસ રેકોર્ડિંગના ભાગ જાહેર કરવામાં આવ્યા છે જે દોષારોપ કરે છે.
પ્લેન ક્રેશ અંગે ખુલાસાની રાહ…
પ્લેન AI-171ના દુર્ઘટનાની પ્રાથમિક તપાસથી સ્પષ્ટ થાય છે કે ‘ફ્યૂઅલ સ્વિચ’ ‘RUN’થી ‘CUTOFF’ પર ગયાં બાદ એન્જિન્સ બંધ થયાં હતાં – પણ આ સ્વિચ કેમ બદલાઈ, તેનો જવાબ હજુ મળ્યો નથી.
વિશેષજ્ઞો માને છે કે અંતિમ રિપોર્ટ આવ્યા વિના નિષ્કર્ષ ન કાઢવો જોઈએ. ભારતે હજુ સુધી આ મુદ્દે કોઈ આખરી નિવેદન આપ્યું નથી.