હવાઈ મુસાફરી પર સંકટના વાદળો: ATF ના ભાવ વધતા એરલાઈન્સ કંપનીઓ ગભરાઈ, સરકાર પાસે માંગી મદદ
ભારતીય આકાશમાં ઉડતી એરલાઈન્સ કંપનીઓ અત્યારે આર્થિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટ જેવી મોટી કંપનીઓના સંગઠન FIA (ફેડરેશન ઓફ ઈન્ડિયન એરલાઈન્સ) એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એક તાકીદનો પત્ર લખ્યો છે. આ પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર તરફથી તાત્કાલિક રાહત નહીં મળે, તો ઘણી ફ્લાઈટ્સ રદ કરવી પડશે અને વિમાનોને જમીન પર જ ઉભા રાખવાની (ગ્રાઉન્ડ કરવાની) નોબત આવી શકે છે.
ભાવમાં ૩૦૦ ટકાનો તોતિંગ ઉછાળો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડી છે. FIA ના જણાવ્યા મુજબ:
બ્રેન્ટ ક્રૂડ જે અગાઉ ૭૨ ડોલર પ્રતિ બેરલ હતું, તે વધીને ૧૧૮ ડોલર પર પહોંચી ગયું છે.
આનાથી પણ વધુ ભયાનક સ્થિતિ ATF (એવિએશન ટર્બાઈન ફ્યુઅલ) ની છે. તેનો ભાવ ૮૭ ડોલર પ્રતિ બેરલથી વધીને ૨૬૦ ડોલરને પાર કરી ગયો હતો, જે લગભગ ૨૯૫% નો ઉછાળો દર્શાવે છે. અત્યારે આ ભાવ ૨૩૫ ડોલરની આસપાસ સ્થિર છે.
તેલ કંપનીઓના નફા (ક્રૈક સ્પ્રેડ) અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અગાઉ ક્રૂડ અને ATF વચ્ચેનો તફાવત ૧૧ થી ૧૮ ડોલર રહેતો હતો, જે હવે વધીને ૧૩૨ ડોલર થઈ ગયો છે. એરલાઈન્સનું કહેવું છે કે તેલ કંપનીઓનો આટલો મોટો નફો વ્યાજબી નથી.
ખર્ચમાં મોટો વધારો અને રૂપિયાનું ધોવાણ
સામાન્ય રીતે કોઈ પણ એરલાઈન્સના કુલ સંચાલન ખર્ચમાં બળતણનો હિસ્સો ૩૦ થી ૪૦ ટકા હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આ ખર્ચ વધીને ૫૫ થી ૬૦ ટકા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, ભારતીય રૂપિયો ડોલર સામે તેના સૌથી નીચલા સ્તરે હોવાથી એરલાઈન્સ પર પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ અત્યારે સંપૂર્ણપણે ખોટમાં ચાલી રહી છે.
એરલાઈન્સ સંગઠન (FIA) ની સરકાર પાસે ૩ મુખ્ય માંગણીઓ
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એરલાઈન્સે સરકાર સામે ત્રણ મોટી માંગો મૂકી છે:
ક્રૈક બેન્ડ મિકેનિઝમની પુનઃસ્થાપના: ઓક્ટોબર ૨૦૨૨માં લાગુ કરાયેલી આ વ્યવસ્થા ડિસેમ્બર ૨૦૨૪માં બંધ કરી દેવામાં આવી હતી. આ મિકેનિઝમ ક્રૂડ અને ફ્યુઅલના ભાવ વચ્ચેના તફાવતને એક મર્યાદામાં રાખે છે.
એક્સાઈઝ ડ્યુટીમાં રાહત: સ્થાનિક ઉડ્ડયન માટે ATF પર લાગતી ૧૧ ટકા એક્સાઈઝ ડ્યુટીને કામચલાઉ ધોરણે હટાવવા અથવા મોકૂફ રાખવાની વિનંતી કરવામાં આવી છે.
VAT માં ઘટાડો: મોટા શહેરોમાં વેટ (VAT) ના દરો ખૂબ ઊંચા છે. દિલ્હીમાં ૨૫% અને તમિલનાડુમાં ૨૯% વેટ છે. મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા જેવા શહેરોમાં પણ ૧૬ થી ૨૦% વેટ લાગે છે. દેશનું ૫૦ ટકાથી વધુ એરલાઈન ઓપરેશન આ શહેરો પર નિર્ભર હોવાથી અહીં વેટ ઘટાડવો જરૂરી છે.

