અંબાજીનો સફેદ માર્બલ હવે વૈશ્વિક બ્રાન્ડ તરીકે ઓળખાશે
બનાસકાંઠાનું પવિત્ર યાત્રાધામ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નહીં, પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. ભારત સરકારે અંબાજી વિસ્તારમાં મળતા માર્બલને “ભૌગોલિક સંકેત” એટલે કે Geographical Indication (GI Tag) નો દરજ્જો આપ્યો છે. આ માન્યતા મળતા અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત બની ગયું છે અને વિશ્વના પથ્થર ઉદ્યોગમાં “Ambaji Marble” નામે એક અનન્ય ઓળખ મેળવી છે.
સ્થાનિક ઉદ્યોગો માટે ગૌરવની ક્ષણ, સરકારી સંસ્થાઓનો મહત્વપૂર્ણ ફાળો
આ નોંધણી Ambaji Marbles Quarry and Factory Associationના નામે કરવામાં આવી છે, જેમાં Stone Artisan Park Training Institute (SAPTI), Commissioner of Geology and Mining અને બનાસકાંઠાના કલેક્ટર કાર્યાલયની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, “અંબાજી હવે માત્ર શ્રદ્ધાનું નહીં, પણ કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક બની ગયું છે.” તેમણે બનાસકાંઠા જિલ્લાના લોકો અને અંબાજી માર્બલ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકોને આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા.

અંબાજી માર્બલની વિશેષતા – સૌંદર્ય અને ટકાઉપણાનો સમન્વય
અંબાજી વિસ્તારનો માર્બલ તેની દૂધિયા સફેદ ચમક, લાંબા સમય સુધી ટકાઉ ગુણધર્મો અને પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. આ માર્બલનો ઉપયોગ માત્ર અંબાજી મંદિરમાં જ નહીં, પરંતુ અનેક ધાર્મિક સ્થળો, સ્મારકો, ભવ્ય ઇમારતો અને આર્ટ ડિઝાઇન પ્રોજેક્ટ્સમાં થાય છે. તે ગુજરાતની ધરતીના કુદરતી સૌંદર્ય અને કારીગરોના હસ્તકૌશલ્યનું જીવંત પ્રતિક છે.
GI ટેગ શું છે અને કોણ આપે છે?
ભૌગોલિક સંકેત (Geographical Indication) એ એવું પ્રમાણપત્ર છે, જે કોઈ ચોક્કસ વિસ્તારના અનન્ય ઉત્પાદને આપવામાં આવે છે. તે ઉત્પાદનના ગુણધર્મો, માટી, પરંપરા અને ભૌગોલિક પરિસ્થિતિઓ પર આધારિત હોય છે. ભારતમાં GI ટેગ ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) દ્વારા, ચેન્નાઇ સ્થિત GI રજિસ્ટ્રી ઓફિસ મારફતે આપવામાં આવે છે.

GI ટેગ મળવાથી અંબાજી માર્બલને થનારા લાભો
GI ટેગ મળવાથી “Ambaji Marble” ને આંતરરાષ્ટ્રીય બજારમાં અનન્ય ઓળખ મળશે. નકલી ઉત્પાદનો સામે કાયદેસર સુરક્ષા મળશે, જેથી અન્ય વિસ્તારોના માર્બલને અંબાજી નામે વેચી શકાશે નહીં. સ્થાનિક ઉદ્યોગો માટે રોજગારની નવી તકો ઉભી થશે અને વિદેશી નિકાસમાં વધારો થશે. સાથે જ અંબાજીના કલાકારોના પરંપરાગત હસ્તકૌશલ્યને વૈશ્વિક સ્તરે નવી માન્યતા મળશે.

