નર્મદા જિલ્લાના માંડણ ખાતે ફરવા આવેલા ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના પાંચ લોકોના કરજણ નદીમાં ડૂબી જતા મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામ ખાતે હાલ રજાઓનો માહોલ હોય મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે તેવે સમયે ભરૂચ જિલ્લાના જોલવા ગામનો એક પરિવાર પણ માંડણ ગામમાં ફરવા આવ્યો હતો અને તેઓ અન્ય પ્રવાસીઓની જેમ કરજણ નદીમાં ન્હાવા પડતાં પરિવારનો એક બાળક પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવાનો પ્રયાસ કરવા જતાં એક પછી એક પાંચેય સભ્યો પાણીમાં ડૂબી જતાં ભારે દોડધામ મચી ગઇ હતી.
દરમિયાન ઘટના અંગેની જાણ કરાતા વડોદરાથી SDRFની ટીમ પહોંચીહતી અને ભારે શોધખોળ બાદ ચાર મૃતદેહ મળી આવ્યા હતા.
મૃતકોમાં ભરૂચ જિલ્લાના જોલવા ગામના જનકસિહ બલવંતસિંહ પરમાર (ઉ.35), જીગનીશાબેન જનકસિંહ પરમાર(ઉ.32), પૂર્વરાજ જનકસિંહ પરમાર (ઉ.08), વિરપાલસિહ પરબતસિંહ ચૌહાણ (ઉ.વ 27) તથા ખુશીબેન/સંગીતાબેન વિરપાલસિંહ ચૌહાણ(ઉ.વ 24)નો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતાજ પોલીસ દોડી ગઇ હતી અને તમામના મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.