ભરૂચના ઝઘડિયા જીઆઇડીસી આસપાસમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે માટી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાછતાં ભૂસ્તર વિભાગ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી અને માટી માફિયાઓના ખોળામાં બેસી ગયા છે ત્યારે ઝઘડિયા જીઆઇડીસી માં હવે નવા પ્રોજેક્ટમાં પણ મોટા પાયે અનઅધિકૃત રીતે માટી નાખવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તેમછતાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી તેવે સમયે હરકતમાં આવેલી ઝઘડિયા પોલીસ ઓવરલોડ માટી ભરેલું વાહન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝઘડિયા અંકલેશ્વર રોડ પર આવેલ ગુજરાત બોરોસીલ કંપનીમાં ઓવરલોડ માટીના વાહન ચાલતા હોવાની વાત વચ્ચે પોલીસે એક ટ્રકની તપાસ કરતા કાંટા પરચીમાં ૫૩ ટન કરતાં વધુ માટી ભરેલી હોવાનું જણાયું હતું.
ઝઘડિયા પોલીસે મોટર વ્હીકલ એકટ હેઠળ ઓવરલોડ માટી ભરેલી ટ્રક ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ ટ્રકમાં ભરેલ માટી બોરોસીલ કંપનીમાં નાખવામાં આવતી હતી તેની રોયલ્ટી પાસ છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ઝઘડિયા જીઆઇડીસી ની આજુબાજુ માંથી પણ હજારો મેટ્રિક ટન માટી નવા આવતા ઉદ્યોગના પ્રોજેક્ટમાં ઠલવાય છે તેની પણ ઝઘડિયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.