ભરૂચ જિલ્લાની પાનોલી જીઆઇડીસીમાં આવેલી અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં આગની ઘટના બાદ સંજાલી ગામના લોકોને ગેસની અસર થતાં ભારે ભાગદોડ મચી હતી.
કંપનીમાંથી કલોરીન ગેસ લીકેજ થતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા સંજાલી ગામના લોકો ગામ છોડી હાઇવે તરફ ભાગ્યા હતા.
108ના સભ્યો દ્વારા કેટલાક અસરગ્રસ્તને ઓકિસજન લેવલ ઓછું હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
અક્ષરનિધિ ફાર્મામાં રો-મટેરીયલના બલ્ક ડ્રગ અને ઇન્ટરમિડિયેટના ઉત્પાદન પ્લાન્ટમાં ગતરોજ બપોરે અચાનક સોલ્વન્ટના જથ્થામાં આગ લાગતા બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો પણ રાત્રિના 10 વાગ્યાના અરસામાં સ્થિતિ વણસતા તંત્રમાં દોડધામ મચી હતી.
ઘટનાની ગંભીરતા જોતાં અંકલેશ્વરના એસડીએમ, મામલતદાર સહીતના અધિકારીઓ સંજાલી દોડી ગયાં હતાં અને 108ની 8 જેટલી એમ્બયુલન્સ રવાના કરી દેવામાં આવી હતી.
સંજાલી ગામમાં રાત્રે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને તેઓ જીવ બચાવવા માટે ગામની બહાર ભાગવા લાગ્યાં હતાં.
કેટલાક લોકો હાઇવે પર આવેલી હોટલો તથા ધાબાઓ પર દોડી ગયાં હતાં. સંજાલી ગામમાં આશરે 20 હજારથી વધુ વસ્તી હોઈ ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.