ભરૂચમાં રોકડા રૂપિયા એક કરોડ ઉપરાંતની ચોરી થતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
ભરૂચના જાણીતા બિલ્ડર ધર્મેશ દિનેશચંદ્ર તાપિયાવાલા તા.12 જૂનના રોજ ઘર બંધ કરીને પોતાના પરિવાર સાથે કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા મોઢેરા ગયા હતા અને ત્યાંથી માં અંબેના દર્શન કરવા અંબાજી ગયા હતા અને તા. 14 જૂનના રોજ વહેલી સવારે ભરૂચ પોતાના ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોવા મળતા પરિવારને ધ્રાસકો પડ્યો હતો અને ઘરમાં પ્રવેશતા જ સમાન વેરવિખેર જણાતા ચોરી થઈ હોવાનું જણાયું હતું, તસ્કરોએ પ્રથમ જાળીવાળા દરવાજાનો નકુચો કોઇ સાધન વડે કાઢી નાખી મુખ્ય દરવાજાનો લોક તથા ઈન્ટરલોક તોડી ઘરમાં પ્રવેશ કરી ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બેડરૂમના લાકડાનો કબાટ ખોલી કુલ રોકડા રૂપિયા 1 કરોડ 3 લાખ 96 હજાર 500ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી દરમિયાન ઘરમાંથી તસ્કરો રૂ.પાંચસોના દરની 100 નોટના 192 બંડલ તથા પાંચસોના દરની 93 નોટ છૂટી જેની કુલ કિંમત રૂપિયા 96 લાખ 46 હજાર 500. આ ઉપરાંત બે હજારના દરની 100 નોટના ત્રણ બંડલ, જેની કિમંત રુપિયા 6 લાખ અને 200 રૂપિયાના દરની 100 નોટના 5 બંડલ, જેની કિંમત રૂપિયા 1 લાખ સાથે 100 રુપિયાની અને 200 રૂપિયાની ચલણી નોટ મળી રૂપિયા 50 હજાર મળી કુલ રોકડા રૂપિયા 1 કરોડ 3 લખા 96 હજાર 500 ઘરમાં રાખ્યા હતા તે તમામની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.