ભરૂચ જિલ્લામાં માટી કૌભાંડમાં હવે તપાસના આદેશ થતા ફફડાટ ફેલાયો છે, અહીંના સરભાણ તેમજ વાતરસા ગામે થયેલ લાખો ટન માટી કૌભાંડમાં ગુનો નોંધાવવા ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીનો તાલુકા વિકાસ અધિકારીને આદેશ થયો છે.
માટી કૌભાંડમાં સંડોવાયેલા વાતરસા અને સરભાણ ગામના તત્કાલીન તલાટીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ટીમે ફેબ્રુઆરીમાં સરભાણ તેમજ વાતરસા ગામે સ્થળ તપાસ કરી ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરતા કૌભાંડ આચરાયું હોવાનો ખુલાસો થયો હતો.
આમોદ તાલુકાના સરભાણ ગામે ગામ તળાવ, તલાવડી તેમજ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવ્યું હતું.જે બાબતે ગામના જાગૃત નાગરિક બિપિન પટેલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.જેના અનુસંધાને ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી તપાસ ટીમની રચના કરવામાં આવતા સરભાણ ગામે સ્થળ તપાસ કરી ઉચ્ચકક્ષાએ રિપોર્ટ રજૂ કર્યો હતો.
આમોદ તાલુકાના જ વાંતરસા ગામમાં પણ આવું જ માટી કૌભાંડ આચરાયું હતું.જેની પણ જિલ્લા વિકાસ અધિકારીએ નિમેલી ટીમ દ્વારા તપાસ કરી રિપોર્ટ રજૂ કરાતા આખરે જિલ્લા વિકાસ અધિકારીએ આ કામમાં કસુરવાર હોય તેવા લોકો સામે ફોજદારી ગુનો નોંધાવવા આમોદ તાલુકા વિકાસ અધિકારીને આદેશ કરતાં ગેરકાયદેસર માટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આમોદ તાલુકાના સરભાણ ગામે તળાવ, તલાવડી તેમજ ગૌચરની જમીનમાં ગેરકાયદે માટી કૌભાંડ કરી માટી ચોરોએ ગામ તળાવને નર્કાગાર બનાવી દીધું હતું.તેમજ જમીન ઉપરના લીલાછમ વૃક્ષોનું પણ ગેરકાયદે કટિંગ કરવામાં આવ્યું હતું.તેમજ આમોદ તાલુકાના વાંતરસા ગામે પણ આદિવાસી સમાજના સ્મશાન ગામની તલાવડી તેમજ ગૌચરની જમીનમાંથી ગેરકાયદે માટી ચોરી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.જે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસ ટીમે નોંધ્યું હતું.ટીમના રિપોર્ટના આધારે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ સરભાણ તેમજ વાતરસા ગામનામાટી કૌભાંડના કસૂરવારો સામે ફરિયાદ નોંધાવના આમોદ તાલુકા વિકાસ અધિકારીને આદેશ કર્યા છે
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વાતરસા ગામે થયેલા કરોડો રૂપિયાના માટી કૌભાંડ મામલે તપાસ થતાં અધિકારીઓની ટીમે રિપોર્ટ ઉચ્ચકક્ષાએ કર્યો હતો.જેના આધારે તત્કાલિન તલાટી વિનોદ સોલંકીને સસ્પેન્ડ કરી નેત્રંગ ખાતે મૂકવામાં આવ્યા છે.તેમજ સરભાણ ગામના તત્કાલીન તલાટી કિશોરભાઈ પઢીયારને સસ્પેન્ડ કરી વાલિયા ખાતે મુકવામાં આવ્યા છે.
સરભાણમાં ગૌચરની જમીનમાં થયેલા માટી ખોદકામ અંગે ગામના જ નાગરિકે અરજી કરી હતી.જેના અનુસંધાને ગામના તત્કાલીન તલાટીને જ તપાસનો આદેશ થતાં માટીચોરોના મિલીભગતમાં સંડોવાયેલા તત્કાલીન તલાટી કિશોરભાઈ પઢીયારે ગૌચરની જમીનને કાંસ બતાવી દઈ વહીવટી તંત્રને પણ ગેરમાર્ગે દોર્યું હતું.તેની જિલ્લા કક્ષાએથી સ્થળ તપાસ માટે નાયબ જીલ્લા વિકાસ અધિકારી અશોક ડાંગીની ટીમે તપાસ કરતાં તત્કાલીન તલાટીની તંત્રને ગેરમાર્ગે દોરવાની હરકત સામે આવી હતી.
આમોદ તાલુકાના સરભાણ તેમજ વાતરસા ગામે થયેલા કરોડો રૂપિયાના માટી કૌભાંડમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ ૨૧ એપ્રિલના રોજ આદેશ કરી સરભાણ ગામના તેમજ વાતરસા ગામનાં કસૂરદારો વિરુધ્ધ પોલીસ મથકે ફોજદારી કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરવાનો લેખિત આદેશ કર્યો હોવા છતાં આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા માટી કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે ફરિયાદ કરવામાં ઠાગાથૈયા કરવામાં આવી રહ્યા છે.તેમજ આમોદ તાલુકા વિકાસ અધિકારીએ ૨૫ એપ્રિલના રોજ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત પ્રત્યુત્તર કરી માટી કૌભાંડના સંડોવાયેલા કયા કયા કસૂરદારો સામે ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવી તેના નામ આપવા લેખિત ખુલાસો માંગતા મામલો ગરમાયો છે, આમ આ વિસ્તારમાં માટી માફિયાઓ દોડતા થઈ ગયા છે.