રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉપરવાસના વરસાદનું પાણી આવતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની જળ સપાટી વધતા હાલ 5.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 25 ફૂટે પહોંચતા તંત્ર હરકતમાં આવ્યું છે અને સાવચેતીના ભાગરુપે 53 જેટલાં કુટુંબના 186 જેટલા લોકો અને પશુઓનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે.
આજરોજ ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે આજે સવારે 10 કલાકે નર્મદા નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચતા ભરૂચ પર પૂરનું સંકટ ઊભું થતાં તંત્ર સતર્ક થઈ ગયું છે, નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા 53 જેટલા કુટુંબના 186 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે. જે લોકોને દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક-6 ખાતે સ્થળાંતર કરી તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યારે અંકલેશ્વર તાલુકાના સરફૂદ્દીન ગામના 500 અને ખાલ્પિયા ગામના 90 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યારસુધી જિલ્લામાં 800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.