ભરૂચ કોંગ્રેસમાં વધુ એક મોટું ભંગાણ પડ્યું છે,ભરૂચ શહેરમાં કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત ૮ લોકોના રાજીનામા પડ્યા બાદ વધુ 20 હોદ્દેદારોએ સામુહિક રાજીનામા ધરી દેતા કોંગ્રેસ હવે પતન તરફ ધકેલાઈ ચૂકી છે અને ચૂંટણી અગાઉજ દાંડિયા ડૂલ થઈ ગયા છે ભરૂચમાં શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને વોડૅ પ્રમુખના હોદ્દેદારોએ રાજીનામા આપતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.
હાલ જે રીતે અહીં માહોલ જોવા મળી રહ્યો છે તેમ ભરૂચ શહેરમાં કોંગ્રેસીઓ જ કોંગ્રેસને કોંગ્રેસ મુક્ત કરશે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ઉદ્દેશીને અપાયેલા રાજીનામા પત્રમાં જણાવાયુ છેકે અમો ભરૂચ શહેર કોંગ્રેસમાં સક્રિય સભ્ય તરીકે છેલ્લા ઘણા વર્ષોથી ખંતપૂર્વક ભરૂચ કોંગ્રેસ માટે સોંપવામાં આવેલ દરેક જવાબદારીનું શ્રધ્ધાપૂર્વક વહન કરી ફરજના ભાગરૂપે અવિરત કાર્ય કર્યાનો ગર્વ છે , પરંતુ થોડા દિવસ પહેલા અમારા ભરૂચ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા અન્ય આગેવાનોએ રાજીનામા આપ્યા એ ખૂબ જ દુઃખ જ બાબત બની હોય, અમે જે લોકોની આગેવાનીમાં કામ કરતા હતા એજ લોકોનું જો પક્ષમાં માન – સન્માન ન જળવાતું હોય , સતત અવગણના થતી હોય , ત્યારે અમારા જેવા પાયાના કાર્યકરોની વાત કોણ સાંભળશે ? જેનો હાલમાં જ એક બનાવ બન્યો , જયારે ભરૂચ શહેર સમિતિમાં કાર્યકારી પ્રમુખની નિમણુંક કરી ત્યારે કોઈપણ કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના નિમણૂંક કરી દેવામાં આવી , જે વ્યકિત છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીના કાર્યક્રમોમાં કે પાર્ટીમાં સક્રિય ન હોય ત્યારે તાત્કાલીક ધોરણે આવા વ્યકિતની નિમણુંકથી અમારા જેવા કાર્યકરોમાં સ્વાભાવિક પણે નારાજગી ઉદભવે , પ્રદેશ પ્રમુખના આવા જ ખોટા નિર્ણયોના કારણે પાર્ટીમાંથી લોકો નારાજ થઈ પાર્ટી છોડી રહયા છે ત્યારે અમારા જેવા પાયાના કાર્યકરોની કોઈ ગણતરી ના હોય , એવી પાર્ટીમાં કામ કરવા માંગતા નથી અને અમારા સક્રિય સભ્યપદેથી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીએ છીએ .
આમ,ભરૂચમાં કોંગ્રેસ ધોવાઈ ગઈ છે અને આગામી ચૂંટણી આવે તે પહેલાજ કોંગ્રેસનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું હોય તેવો ઘાટ સર્જાતા અહીં આપ અને ભાજપ બે જ પક્ષોનો દબદબો જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક નેતાઓમાં દમ નહિ હોવાથી અહીંના સંગઠન ઉપર કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહેતા ભરૂચ ખુબજ ઝડપથી કોંગ્રેસ મુક્ત થઈ રહયુ છે.