—ઓથોરિટીના અધિકારીઓ ગામના ખેડુતોને માનસિક ત્રાસ આપે છે, દાદાગીરી કરે છે, ગેરકાયદેસર રીતે ખેતરમાં પ્રવેશી ખેતીના પાકનુ નુકશાન કરી પોલીસ ની ધમકી આપતા હોવાનો ખેડૂત આગેવાન બાલુભાઈ પ્રજાપતિનો આક્ષેપ
વાગરા તાલુકાના અટાલી ગામના ખેડુતો દ્વારા દહેજ વિસ્તારની PCPSIR માં આવતી નગર રચના યોજના ના અધિકારીઓ વિરુદ્ધ ભરૂચ જીલ્લા સમાહર્તા ને આવેદનપત્ર પાઠવી પોતાને અપાતા ત્રાસ અંગે રજૂઆતો કરી હતી.
આઆવેદન પત્રમાં ખેડુતોએ જણાવ્યું હતું કે અમારા અટાલી ગામના ખેડુતોએ રૂપિયા ૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરી સરકારમાં રજુઆત કરેલ હતી કે “ ખેડુતોને પાયમાલ કરનાર આવી યોજનામાં અમો ખેડુતો અમારી જમીન જાન ના ભોગે પણ આપીશું નહીં “.
અમો સ્પષ્ટ પણે જણાવીએ છીએ કે અમો વિકાસના વિરોધી નથી, ઉદ્યોગીકરણ નો પણ વિરુદ્ધ નથી , અમારા વિસ્તારમાં ઉદ્યોગો આવે અને અમારા સમગ્ર વિસ્તાર નો વિકાસ થાય એ અમારૂં સૌભાગ્ય છે.
સરકારની આવા હકારાત્મક અભિગમ ને આવકારીએ છીએ અને જેના કારણે અમોએ ભુતકાળમાં અમારી જમીનો સંપાદનમાં આપેલ છે પણ સદર યોજનામાં કેટલાક અધિકારીઓ ના મનસ્વીપણા માં ઓફિસમાં બેસી બે ચાર કાયદાઓને કોપી પેસ્ટ કરી એક કાયદો બનાવી અમારી સંમતિ વિના અમારી જમીનો મફતમાં છિનવી લેવાના પ્રયાસો સામે અમે રક્ષણ માંગીએ છીએ, કારણ અમે ભુતકાળમાં પણ જણાવ્યુ છે કે અમો આ યોજનામાં અમારી જમીન આપવા સહમત નથી.
સદર બાબતે GPCPSIR ના અધિકારીઓને, મામલતદાર, કલેકટર, ઉદ્યોગ સચિવ, જીઆઈડીસીના ચેરમેન અને મુખ્યમંત્રીને રૂબરૂ અને લેખીત રજુઆત કરેલ છે.
તત્કાલીન વાગરા ના ધારાસભ્યને પણ રજૂઆત કરેલ છે અને તેઓનો હકારાત્મક પ્રતિભાવ મળેલ છે
વાગરા તાલુકાના ખોજબલ, ભેરસમ,, શાયખા., કોઠિયાં, સડઠલા અને ખખાજણ જેવા ગામોની નગર યોજનાઓ સ્થગિત થયેલ છે તથા રદ પણ થયેલ છે.
વધુમાં સદર બાબતે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માં પિટીશન દાખલ કરેલ છે. જેમાં હાલ “સ્ટેટ્સ કો ” નો હુકમ ચાલુ છે. તથા ખેડુતોએ પોતાની માલિકીની જમીનમાં ઓથોરિટી ના અધીકારીઓ / કર્મચારીઓ એ સંમતિ વિના પ્રવેશ કરવો નહીં, જો તેઓ પ્રવેશ કરશે તો તે ગેરકાનૂની ગેર કાયદેસર નો પ્રવેશ ગણાશે અને તે બાબતે અમો નજીકના પોલીસ સ્ટેશનને ફરીયાદ કરીશું એવું લેખિત આપેલ હોય તેમ છતાં જમીન માં પ્રવેશ કરેલ છે જેથી તે સમયે ઉપર સંદર્ભે માં જણાવેલ ફરીયાદ ખેડુતોએ વ્યક્તિગત રીતે દહેજ પોલીસ સ્ટેશનને કરેલ છે.
વધુમાં અટાલીના ખેડુત આગેવાન અને રીટાયર્ડ નાયબ મામલતદાર બાલુભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે
“SIR ( સર) નો કાયદો એટલે મફત માં ખેડુતો ની જમીન ઓથોરિટીએ પડાવી લેવાનો રસ્તો.
છેલ્લા ૧૦ વર્ષ થી અમે ખેડુત હિતરક્ષક દળના નેજા હેઠળ PCPIR માં આવતી નગર રચના યોજનાઓનો વિરોધ કરીએ છીએ જેના કારણે કેટલીક યોજનાઓ પડતી મૂકવામાં આવી છે પણ અટાલી ગામ ની નગર રચના પાછળ ઓથોરિટી ના અધીકારીઓ ને શું વ્યક્તિગત ફાયદો છે તે કાયદા ની અને ઉચ્ચ ન્યાયાલય ની ઉપર વટ જઇ અમારા ગામના ખેડુતોને માનસિક ત્રાસ આપે છે. દાદાગીરી કરે છે, ગેરકાયદેસર ખેતરમાં પ્રવેશી ખેતીના પાકનુ નુકશાન કરે છે તેમજ પોલીસ ની ધમકી આપી ડરાવે છે. જેથી અમો અમારા અધિકારોના રક્ષણ માટે મહેરબાન કલેકટરને રજુઆત કરવા આવ્યા છે. કે ઓથોરિટી ના અધીકારીઓ ની મેલી નજરથી અમારી જમીનો નું રક્ષણ કરવા પોલીસ અધિકારી ને સુચન કરે અને સદર નગર રચના રદ કરવા સરકાર માં ભલામણ કરે.
” સર ” ના કાયદાની આડમાં અમારી ફળદ્રુપ જમીનો મફતમાં પડાવી લેવાનું કાવતરૂ અમે સફળ થવા દઈએ નહીં.”
તેમ તેઓ એ જણાવ્યું હતું PCPSIR ના અધિકારીઓ નો મત જાણવાનો પ્રયત્ન અમારા પ્રતિનિધિ દ્વારા કરવામાં આવ્યો હતો પણ તેઓએ કઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો.