ભરૂચ કોંગ્રેસ હવે લગભગ પતનના માર્ગે ધકેલાઈ રહી છે જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ સામે પણ અસંતોષનો માહોલ છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસ સાથે છેડો ફાડી કેટલાય આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે.
વાત પ્રદેશની હોય કે પછી સ્થાનિક નેતાગીરીની અહીં અગાઉ પણ પરીમલસિંહ રણા કોંગ્રેસ પ્રમુખ તરીકે રિપીટ થતા અસંતોસ ઉભો થયો હતો અને રાજીનામા પડ્યા હતા.
જોકે,ભરૂચ કોંગ્રેસનું લગભગ નામું નખાઈ ગયુ છે અને કહેવાતા આગેવાનો ખોટા વહેમમાં હોવાનું જણાય રહયું છે પ્રજા બધુજ જાણે છે અને હવે કોંગ્રેસનો મેળ પડે તેમ નથી
હવે ભરૂચમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ થશે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે અહીં માત્ર ગણ્યા ગાંઠ્યા કોંગ્રેસ વાળા આસપાસના વિસ્તારોમાં ફરી રહયા છે પણ માહોલ જામતો નથી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પાર્ટી છોડી અન્ય પક્ષોમાં સેટ થઈ રહ્યા હોવાનું વાસ્તવિક વાતાવરણ જોવા મળી રહ્યું છે.
બે દિવસ પહેલાજ ગુરુવારે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ યુવા મહામંત્રી નિકુલ મિસ્ત્રી, શહેર ઉપપ્રમુખ કિરણ ચૌહાણ, ખજાનચી કિરણ પરમાર, જિલ્લા યુથ કોંગ્રેસના રાધે પટેલ, કિશોરસિંહ અને રાકેશ ગોહિલે પક્ષના સભ્ય અને હોદ્દા પરથી રાજીનામાં ધરી દેવાની ઘટના મોટી ઘટના છે અને કોંગ્રેસ માટે રેડ સિગ્નલ સમાન છે. સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત સાતે હોદેદારોએ પત્રકાર પરિષદ યોજી 25 વર્ષનો કોંગ્રેસ સાથેનો નાતો તોડતા હોવાનું કહી ઘણું બધું કહી ગયા છે.
અગાઉ પણ જોલવા ગામે પીઢ કોંગ્રેસીઓ એવા 40 આગેવાનોએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો ત્યારબાદ સુવા ગામના ૧૫૦ થી વધુ આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ગયા હતા.
ભરૂચ જિલ્લામાં એક પછી એક કોંગ્રેસના ગઢના કાંગરા ખરી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસના ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટીના મજબૂત આગેવાન મહેશ પરમાર તેમના ૩૦૦ જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ જવાની ઘટના પણ મોટી ઘટના ગણાય છે,ઉપરાંત વાગરા તાલુકાના સુવા ગામના ૧૫૦ થી વધુ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો છેડો ફાડી ચૂક્યા છે.
વાગરા ના સુવા ગામના આગેવાનો બાધરભાઈ ગોહિલ, નિલેશસિંહ ગોહિલ, ભાવેશભાઈ વૈષ્ણવ, દલસુખભાઈ ગોહિલ,અશ્વિનભાઈ ગોહિલ સહિતના અંદાજીત ૧૫૦ થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. આમ કહી શકાય કે ભરૂચ હવે કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે અને ભાજપ મનમાં મલકાઈ રહ્યું છે.