ભરૂચ: કોરોનાની વિકટ પરિસ્થિતિમાંથી કોરોના લોકોના સ્વજનો ટપોટપ મોતને ભેટી રહ્યા છે ત્યારે લોકો નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં લોકો પોતાનું માનસિક સમતુલન ગુમાવી બેશતા હોય છે. અને આત્મહત્યા જેવા પગલાં પણ ભરતા હોય છે. આવી જ એક ઘટના ભરૂચના અંકલેશ્વરમાં જોવા મળી હતી. અહીં એક વ્યક્તિએ બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેને બચાવી લીધો હતો. આપઘાતના પ્રયાસ પહેલા વ્યક્તિએ બ્રિજ પરથી ચલણી નોટો ઉડાવી હતી.
આ અંગેનો વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિએ માનસિક તાણમાં આવીને આવું પગલું ભર્યું હતું. ‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’ એવું કહીને વ્યક્તિએ બ્રિજ પરથી નોટો ઉડાવી હતી. નોટો ઉડાવ્યા બાદ વ્યક્તિએ બ્રિજની રેલિંગ કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમયે હાજર લોકોએ તેને બચાવી લીધો હતો.
વીડિયો વાયરલ થયો
આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ જેવા દેખાતો વ્યક્તિ બ્રિજની રેલિંગ કૂદીને એક પાળી પર ઊભો છે. આ સમયે નીચે પણ લોકો જોવા મળી રહ્યા છે. બેથી ત્રણ વ્યક્તિઓએ વૃદ્ધને પકડી રાખ્યા છે. આ દરમિયાન વૃદ્ધ તેના હાથમાં રહેલી એક થેલીમાંથી નોટો ઊડાવી રહ્યા છે. વીડિયો જોઈને એવું લાગે છે કે વૃદ્ધ બ્રિજ પરથી નીચે છલાંગ લગાવવા માંગે છે. જોકે, ઉપર ઊભેલા અન્ય લોકોએ તેમને પકડી રાખ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કોરોના વાયરસના કપરા સમય વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત બીજા દિવસે ગુજરાતમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુંઆંકમાં ઘટાડો થયો છે. રવિવારે કોરોનાના 11,146 દર્દીઓ નોંધાયા છે, જ્યારે 153 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. બીજી તરફ 4,40,276 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર. 74.05 ટકા છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોવિડ-19થી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.