આ જગતમાં ખરેખર દિનદારી રીતે જીવી શકાય છે કે કેમ? જો તમે ખરેખર અલ્લાહથી ડરતા હો તો અંકલેશ્વરના મહેબુબભાઈ પોસ્ટવાલાની વીડિયો સાંભળશો તો દંગ થઈ જશો. મહેબુબભાઈ પોસ્ટવાલાએ એવું કામ કરી બતાવ્યું જે આજના જમાનામાં ભાગ્યેજ કોઈ કરીને બતાવશે.
મેહબુબભાઈ અંકલેશ્વરમાં રહે છે અને તેઓ શ્રીમંત છે. લોકેને સખાવત કરતા રહે છે. દાન-ધર્મ કરી પૂણ્ય હાંસલ કરવાની દાનત સાથે જીવે છે. પરંતુ સાથો સાથે તેમણે અનેક લોકોને આર્થિક મદદ પણ કરી છે. લોકોને કર્જે હસનાહ આપતા રહે છે. આ કર્જે હસનાહ(વ્યાજ રહિત ઉધાર આપવું)ની રકમ અંદાજે પોણા ચાર કરોડ રૂપિયા હોવાનું ખુદ મહેબુબભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયો પરથી જણાઈ આવે છે.
મહેબુબભાઈ પોસ્ટવાલા વીડિયોમાં કહે છે કે મને બતાવત આનંદ થાય છે કે હું મારા તમામ દેવાદારોનું દેવું માફ કરું છું. કસ્બાતી વાડ, સર્વોદય, સપના, મુલ્લા વાડ, કાગદીવાડ, ફૈઝપાર્ક, સંજય નગર, સ્ટેશન રોડ, તાડ ફળીયા,ભરુચ,દડાલ,સુરત, વડોદરા અને અમદાવાદના લોકોને જે વ્યાજ વિનાની રકમ ઉધાર તરીકે આપી હતી તે માફ કરું છું. આ રકમ કુલ 3 કરોડ 88 લાખ રૂપિયા થવા જાય છે અને આ રકમ હું આજ દિનથી તમામને માફ કરું છું.
મહેબુબભાઈ કહે છે કે થોડાં દિવસ પહેલાં નમાઝમાં મારી પાસેથી એક લાખ રૂપિયા લઈને ગયેલી વ્યક્તિ નમાઝમાં પ્રથમ લાઈનમાં મારી બાજુમાં આવીને ઉભી રહી ગઈ. મને જોયો તો એ પ્રથમ લાઈનમાંથી ખસી ગયો અને બહાર નીકળી ગયો. આ ઘટનાથી મને ખૂબ લાગી આવ્યું અને મેં નિર્ણય કર્યો કે મારા તમામ કર્જદારોને આપેલા રૂપિયા મારે માફ કરી દેવા છે. બસ આ ઘટના બાદ આંખો ખૂલી અને મનોમંથન કરીને અલ્લાહ અને તેના રસુલને હાજર રાખીને હું મારા તમામ કર્જદારોનું કર્જ માફ કરું છું.
મહેબુબભાઈની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક પ્રતિભાવો જાણવા મળી રહ્યા છે. મહેબુબભાઈ પોતાને સાચો મુસલમાન તરીકે મરતા જોવા માંગે છે અને ઈમાનવાળી મોતની દુઆ સાથે વીડિયો ખતમ કરે છે.